સંસદમાં કોંગ્રેસ નેતા: ‘પુણેમાં હિંસા પાછળ RSSના લોકોનો હાથ’
બંને સદનમાં ગાજ્યો પુણે હિંસાનો મુદ્દો કોંગ્રેસ નેતાએ આરએસએસ પર મુક્યો આરોપ આ અંગે વધુ વાંચો અહીં..
મહારાષ્ટ્રના પુણેમાં થયેલ ભીમા કોરેગાંવ હિંસાનો મુદ્દો બુધવારે સંસદના બંને સદનમાં ગાજ્યો હતો. લોકસભામાં કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉંચકતા પૂછ્યું હતું કે, આ હિંસા કોણે ભડકાવી હતી અને કોણે એ કાર્યક્રમમાં હસ્તક્ષેપ કર્યો. સમાજમાં ભાગલા પાડવામાં કટ્ટર હિંદુત્વવાદી, જે ત્યાંના આરએસએસના લોકો છે, એમનો હાથ છે. તેમણે આ કરાવ્યું છે. તેમની માંગ છે કે, ભીમા કોરેગાંવ હિંસા મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદનમાં આવી આ મુદ્દે જવાબ આપવો જોઇએ. તેઓ મૌન નહીં રહી શકે. આ પ્રકારના મામલે તેઓ મૌની બાબા બની જાય છે.
'કોંગ્રેસની ભાગલા પાડોની નીતિ'
કોંગ્રેસના આરોપો પર સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ઉપયોગ કરી રહી છે અને સૌનો સાથ-સૌનો વિકાસ કરી નરેન્દ્ર મોદી દેશને સાથે લાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આગ હોલવવાની જગ્યાએ, ભડકાવવાનું કામ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. દેશ આ સહન ના કરી શકે.
રાજ્યસભામાં પણ ગાજ્યો મુદ્દો
આ પહેલા રાજ્યસભામાં કોંગ્રેસ સહિત આખા વિપક્ષે આ મુદ્દો ઉઠાવતા ખૂબ હોબાળો થયો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. આ પહેલાં સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલ અને કોંગ્રેસ સાંસદ રજની પાટિલે મહારાષ્ટ્ર હિંસા અંગે રાજ્યસભામાં મોકૂફીની દરખાસ્ત કરી હતી. તો લોકસભામાં કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને બિહારના મધેપુરા સાંસદ પપ્પુ યાદવે પણ મહારાષ્ટ્ર હિંસા અંગે લોકસભામાં મોકૂફીની દરખાસ્ત નોટિસ આપી હતી.