કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટી રાહત, 17 માર્ચ સુધી ધરપકડ અટકી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવતા પીએમ મોદીનો ઉલ્લેખ નરેન્દ્ર ગૌતમ દાસ મોદી તરીકે કર્યો હતો.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીના આરોપમાં કોંગ્રેસ નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 17 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. અદાણી કેસને લઈને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ નેતા પવન ખેડાએ વડાપ્રધાન મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ આસામ પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. જો કે થોડા સમય બાદ તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

આસામ સરકારે સુપ્રીમ કોર્ટમાં પવન ખેડાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી સંબંધિત કેસમાં ત્રણ FIR ટ્રાન્સફર કરવાની અરજીનો વિરોધ કર્યો હતો. સોગંદનામામાં આસામ સરકારે દાવો કર્યો છે કે પીએમ મોદી વિરુદ્ધ ખેડાનું નિવેદન ભારતને અસ્થિર અને બદનામ કરવાના વ્યાપક ષડયંત્રનો ભાગ છે. આસામ સરકારે કહ્યું કે, પવન ખેડાએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આસામ સરકારે કહ્યું કે ખેડાએ હજુ સુધી પોતાના નિવેદનો માટે માફી માંગી નથી.
અહીં તમને જણાવી દઈએ કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવતા પીએમ મોદીનો ઉલ્લેખ નરેન્દ્ર ગૌતમ દાસ મોદી તરીકે કર્યો હતો. તેમણે કહ્યું કે, તમે સંસદમાં ચર્ચાથી કેમ ભાગી રહ્યા છો? તમે જેપીસીથી કેમ ડરો છો? પીવી નરસિમ્હા રાવ અને અટલ બિહારી વાજપેયીએ પણ તેમના કાર્યકાળ દરમિયાન જેપીસીની રચના કરી હતી. તો નરેન્દ્ર ગૌતમ દાસ માફ કરજો દામોદરદાસ મોદી શું તકલીફ છે? ખેડાએ કહ્યું હતું કે તેમનું નામ દામોદરદાસ છે પણ કાર્યો ગૌતમદાસના છે.












Click it and Unblock the Notifications
