Lucknow-Agra Expressway પર ભીષણ માર્ગ અકસ્માત, ડબલ ડેકર બસના ફૂરચા ઉડ્યા, 18ના મોત, 30 ઘાયલ
Lucknow-Agra Expressway Accident: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક હ્રદયદ્વાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. ટક્કર એટલી ગંભીર હતી કે બસ ઘણી વખત પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 મુસાફરોના મોત થયા છે જ્યારે 30 વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ બસ બિહારના સીતામઢીથી દિલ્હી આવી રહી હતી. સવારે લગભગ 4.30 વાગ્યે જ્યારે બસ ઉન્નાવના બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી ત્યારે ગડા ગામ પાસે એક ઝડપી દૂધના ટેન્કરે બસને ઓવરટેક કર્યો, જે દરમિયાન અકસ્માત થયો. આ અકસ્માતમાં બસ ધરાશાયી થઈ ગઈ હતી.

અકસ્માત બાદ આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાહદારીઓએ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદ બાંગરમાઉના ઈન્સ્પેક્ટર પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા.
હોસ્પિટલમાં 18 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં 14 પુરૂષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
દુર્ઘટના બાદ ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ કહ્યું કે આ એક ખાનગી બસ હતી જે બિહારના મોતિહારીથી આવી રહી હતી, તે સવારે લગભગ 5.15 વાગે દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. કેસની તપાસ ચાલી રહી છે. એવું લાગે છે કે બસ ખૂબ જ ઝડપે મુસાફરી કરી રહી હતી. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ઉન્નાવ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં શાંતિ અર્પે અને ઘાયલોને ઝડપથી સાજા કરે તેવી પ્રાર્થના છે.












Click it and Unblock the Notifications
