'બિહારમાં મુદ્દાઓની કમી હોય તો મુંબઈથી પાર્સલ કરાવી લો', સંજય રાઉતે કર્યો કટાક્ષ
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થતા જ રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થતા જ રાજકીય પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે બિહાર ચૂંટણી વિશે કટાક્ષ કરીને કહ્યુ કે જો ત્યાં મુદ્દા ખતમ થઈ ગયા હોય તો મુંબઈથી પાર્સલ કરાવી શકો છો. વાસ્તવમાં બિહારના રહેવાસી બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત માટે ઘણા દિવસોથી બિહાર અને મહારાષ્ટ્રના નેતાઓમાં ઘણી રાજકીય નિવેદનબાજી થઈ હતી. ત્યારબાદ કહેવામાં આવ્યુ કે બિહાર ચૂંટણીમાં સુશાંત સિંહ રાજપૂતના મોતના મુદ્દાનો ઉપયોગ કરવા માટે આ મામલાને ઉઠાવવામાં આવી રહ્યો છે.
શનિવારે સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરીને કહ્યુ કે, 'બિહારમાં વિધાનસભાની ચૂંટણી વિકાસ, કાયદો વ્યવસ્થા અને સુશાસનના મુદ્દાઓ પર લડવી જોઈએ પરંતુ જો મુદ્દાઓ ત્યાં ખતમ થઈ ગયા હોય તો મુંબઈથઈ મુદ્દાઓને પાર્સલ તરીકે મોકલી શકાય છે.' તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ઘણા દિવસોથી મુંબઈ અને બિહાર પોલિસના અધિકારીઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. બિહારના તત્કાલિન ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ આરોપ લગાવ્યો હતો કે મુંબઈ પોલિસ આ કેસમાં તેમનો સહયોગ નથી કરી રહી.
સંજય રાઉતે એ વાતના પણ સંકેત આપ્યા કે શિવસેના બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. સંજય રાઉતે કહ્યુ, 'આવતા 2-3 દિવસોમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આવનારી બિહાર ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર ઉભા કરવા અંગે નિર્ણય લઈ શકે છે. બિહારમાં ચૂંટણી જાતિ અને બીજા મુદ્દાઓ પર થાય છે. બિહારની ચૂંટણીમાં શ્રમ કાયદો કે કૃષિ બિલ કોઈ મુદ્દો નહિ હોય.'
10 વર્ષની બાળકીએ કપાવી દીધા 31 ઈંચ લાંબા વાળ, કારણ જાણી લોકો કરી રહ્યા છે સલામ