અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે બિહાર બંધ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બોલાવી સમીક્ષા બેઠક
કેન્દ્ર સરકારની 'અગ્નિપથ યોજના'ના વિરોધમાં દેશવ્યાપી વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી છે.
પટનાઃ કેન્દ્ર સરકારની 'અગ્નિપથ યોજના'ના વિરોધમાં દેશવ્યાપી વિરોધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી છે. બિહારના ઘણા જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ બની છે જ્યાં વિરોધીઓએ આગચંપી અને તોડફોડની ઘટનાઓને અંજામ આપ્યો છે. ટ્રેનોને પણ આગ ચાંપી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં બિહારમાં વિદ્યાર્થી સંગઠનોએ શનિવારે 'બિહાર બંધ'નું એલાન આપ્યુ છે. વિદ્યાર્થીઓનુ આ શટડાઉન આગામી 24 કલાક માટે રહેશે.
રાજનાથ સિંહે આજે ત્રણેય સેના પ્રમુખોની બેઠક બોલાવી
દેશભરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ત્રણેય સેના પ્રમુખોની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે રાજનાથ સિંહ ત્રણેય સેના પ્રમુખો એટલે કે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, ઈન્ડિયન નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમાર અને એરફોર્સ ચીફ વી. આર. ચૌધરી સાથે બેઠક કરશે. આ બેઠકમાં યોજના અંગે ચર્ચા કરવામાં આવશે અને યુવાનોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેવુ માનવામાં આવે છે. આર્મી, નેવી અને એરફોર્સે શુક્રવારે આ નવી યોજના હેઠળ પસંદગી પ્રક્રિયા આગામી સપ્તાહ સુધીમાં શરુ કરવાની જાહેરાત કરી હતી. રાજનાથ સિંહે પણ સશસ્ત્ર દળોાં જોડાવા ઈચ્છુક યુવાનોને તેમની તૈયારી શરુ કરવા અપીલ કરી છે.
છાત્રોના બંધને મળ્યુ રાજકીય પક્ષોનુ સમર્થન
માહિતી મુજબ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA)ના નેતૃત્વમાં વિદ્યાર્થી સંગઠનોએ આ યોજનાને તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી છે અને કહ્યુ છે કે જ્યાં સુધી આ યોજના પાછી નહી ખેંચાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓના આ બંધને રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યુ છે. તેમાં બિહારની મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીનુ નામ સૌથી પહેલા આવે છે. આરજેડી ઉપરાંત ડાબેરી પક્ષોએ પણ આ બંધને સમર્થન આપ્યુ છે.
એલજેપીએ પણ યોજના પાછી ખેંચવા કરી માંગ
વિદ્યાર્થી સંગઠનોના 'બિહાર બંધ'ને સમર્થન આપતા આરજેડી બિહાર એકમના પ્રમુખ જગદાનંદ સિંહે કહ્યુ કે સેનામાં ટૂંકા ગાળાની ભરતી યોજના દેશના યુવાનોના હિત માટે નુકસાનકારક છે. તેથી અમે એવા યુવાનોને સમર્થન આપીએ છીએ જેઓ વિરોધ કરી રહ્યા છે. અગ્નિપથ યોજના છે. સશસ્ત્ર દળોમાં નવી ટૂંકા ગાળાની ભરતી યોજના દેશના યુવાનોના હિતમાં નથી. આરજેડી ઉપરાંત એલજેપી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાને પણ આ યોજના પાછી ખેંચવાની માંગ કરી છે.
બિહારના 12 જિલ્લાઓ ઈન્ટરનેટ બંધ
તમને જણાવી દઈએ કે બિહારમાં અગ્નિપથ યોજનાનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ પ્રદર્શનના ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં હિંસક ઘટનાઓ બની હતી. દેખાવકારોએ આઠ ટ્રેનોને આગ ચાંપી દીધી છે. બિહારના 12 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં હિંસાની ઘટનાઓને અંજામ આપનારા લોકોને બિહાર પોલીસ કડક રીતે અટકાવી રહી છે. પોલીસે આવા લોકો સામે કેસ નોંધવાનુ શરૂ કર્યુ છે.