બિન્નીનો બળવોઃ કોંગ્રેસના ઇશારે ચાલે છે ‘આપ’ સરકાર
નવી દિલ્હી, 16 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીમાં બળવાખોરી શરૂ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને જ્યારથી પાર્ટી સત્તા પર આવી ત્યારથી વિવાદમાં રહેલા વિનોદ કુમાર બિન્ની દ્વારા અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલા ખોટા વચનો અંગે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યાં છે. બિન્નીએ કહ્યું કે, આમ જનતાને જે વચનો કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, તેની કથણી અને કરણી અલગ છે. જો અરવિંદ કેજરીવાલની વાત માનવામાં ના આવે તો તેઓ ગુસ્સે થઇ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના ઇશારા પર આમ આદમી પાર્ટીની સરકાર ચાલી રહી છે.
વધુમાં તેમણે કહ્યું કે, ઘણી ચતુરાઇ સાથે તેમણે દિલ્હીની જનતા સાથે દગો કર્યો છે. વિજળી અંગે તેમણે જણાવ્યું કે વિજળીમાં 400 યુનિટવાળી સ્કીમ પણ તેમની ચતુરાઇ સાથે જોડાયેલી છે. જન લોકપાલ બિલ અંગે ચોંકાવનારો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, જન લોકપાલ બિલ લાવવા અંગે કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ 15 દિવસમાં જન લોકપાલ બિલ લાવવામાં આવશે, પરંતુ જે વચન તેમણે દિલ્હીને આપ્યું તે હજુ સુધી પૂરુ કરવામાં આવ્યું નથી.
તેમણે ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની પૂર્વ સીએમ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, આજે જ્યારે તેમના વિરુદ્ધ પગલાં ભરવાના સમયે તમે ભાજપના હર્ષવર્ધન પાસે પુરાવા માગી રહ્યા છો, ત્યારે તમે પુરાવા વગર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર આરોપ કેવી રીતે લગાવ્યા.