ડૉ. હર્ષવર્ધન દિલ્હીમાં બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: ભારે વિટંબણાઓ અને વિવાદોની વચ્ચે દિલ્હીમાં બીજેપીએ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની નામની જાહેરાત કરી લીધી છે. બીજેપીએ મુખ્યમંત્રી માટે વીજય ગોયલના નામને બદલે ડૉ. હર્ષવર્ધનના નામ પર મહોર મારી દીધી છે.
આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ભાજપના વરિષ્ઠ નેતાઓના નેતૃત્વમાં આ જાહેરાત કરવામાં આવી. અત્રે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંસંદમાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, પ્રદેશ અધ્યક્ષ વિયજ ગોયલની હાજરીમાં હર્ષવર્ધનને આ જવાબદારી સોંપવામાં આવી અને ગુલદસ્તાઓ આપીને તેમનુ સન્માન પણ કરવામાં આવ્યું.
હર્ષવર્ધને આ પ્રસંગે જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી બનીને રાજ્યને કુશાસનમાંથી મુક્ત કરાવીશું તેમજ રાજ્ય અને દેશમાં ખુશાલી લાવીશું. તેમણે વિજય ગોયલ અંગે પૂછાતા તેમણે જણાવ્યું કે અમે હૃદય અને મન બંનેથી એક છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા એવી અફવાઓ આવી રહી હતી કે દિલ્હી બીજેપી તરફથી મુખ્યમંત્રી તરીકે ડો. હર્ષવર્ધનના નામની જાહેરાત થવાનું જાણતા દિલ્હી બીજેપીમાં ભંગાણ પડવાના એંધાણ છે. આને લઇને વિજય ગોયલે વિરોધી સૂર અપનાવ્યા છે. ગોયલ હર્ષવર્ધનની સીએમ ઉમ્મેદવારીને લઇને ભડકી ઉઠ્યા છે. પરંતુ આ સમાચારો માત્રને માત્ર એક અફવા જ સાબિત થયા.