મમતા બેનર્જી પર હુમલોઃ ભાજપ-કોંગ્રેસે કરી CBI તપાસની માંગ, કહ્યુ - 'દીદીનો ડ્રામા આ ચૂંટણીમાં કામ નહિ આવે'
મમતા બેનર્જી પર હુમલા મામલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીનો દાવો છે કે બુધવારે(10 માર્ચ) નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચાર-પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો. જેનાથી તેમના પગમાં ઈજા થઈ છે. હાલમાં મમતા બેનર્જી કોલકત્તાની એસએસકેએમ હોસ્પિટલમાં ભરતી છે. મમતા બેનર્જીના પગ, ખભા અને હાથમાં ઈજા થઈ છે. હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. સીબીઆઈ તપાસની માંગ કરીને ભાજપની પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે ગુરુવારે(11 માર્ચ) કહ્યુ કે મમતા બેનર્જી ઈજાના બહાને સહાનુભૂતિ મેળવવા માંગે છે. વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે જો મમતા બેનર્જી પર કરવામાં આવેલ હુમલો ષડયંત્ર છે તો સીબીઆઈ, સીઆઈડીને બોલાવો? માત્ર ષડયંત્રનુ બહાનુ બનાવીને મમતા બેનર્જી લોકોનુ ધ્યાન ખેંચી રહ્યા છે.
દીદીનો ડ્રામા આ ચૂંટણીમાં કામમાં નહિ આવે - દિલીપ ઘોષ
ભાજપના પશ્ચિમ બંગાળ એકમના અધ્યક્ષ દિલીપ ઘોષે ગુરુવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કથિત હુમલાની સીબીઆઈ તપાસની માંગ કરીને કહ્યુ કે એ જોવાની જરૂર છે કે શું ઘટના ખરેખર થઈ છે કે પછી મત મેળવવા માટે 'સારી રીતે લખેલુ નાટક' હતુ. પત્રકારો સાથે વાત કરીને દિલીપ ઘોષે કહ્યુ કે રાજ્યના લોકો આ રીતના 'નાટક' પહેલા પણ જોઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે આ ખરેખર હવે તપાસનો વિષય છે કે છેવટે શું થયુ હતુ. કેવી રીતે ચાર પાંચ લોકો આવ્યા અને ઝેડ-પ્લસ સિક્યોરિટીને વટાવીને હુમલો કરીને જતા રહ્યા, એ એક એવો હુમલો છે જેના પર ધ્યાન આપવાનુ છે. રાજ્ય સરકારની સચ્ચાઈ લાવવા માટે સીબીઆઈ તપાસના આદેશ આપવા જોઈએ.
બહાનુ બનાવીને મમતા બેનર્જી ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે - કોંગ્રેસ
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે જો ષડયંત્ર છે તો સીબીઆઈ અને સીઆઈડીને બોલાવો? માત્ર ષડયંત્રનુ બહાનુ બનાવીને મમતા બેનર્જી સામાન્ય લોકોનુ ધ્યાન ખેંચવા માંગે છે. સીસીટીવી ફૂટેજ કાઢોને તેનાથી બધુ સત્ય સામે આવી જશે. પરંતુ તે એ નહિ કરે કારણકે ચૂંટણી નજીક છે. આવુ બહાનુ બનાવીને તે ચૂંટણી જીતવાની કોશિશ કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરીએ બુધવારે કહ્યુ હતુ કે મમતા બેનર્જી જે પણ કરી રહ્યા છે તે બધુ નૌટંકી છે. ચૂંટણી પાસે આવતી જોઈ તેમની પાર્ટીનો આ ડ્રામા છે.
કૈલાશ વિજયવર્ગીય બોલ્યા, હુમલાનો વીડિયો જાહેર કરવામાં આવે
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ, 'ચૂંટણી પંચે ઉમેદવારની પાછળ ચાલી રહેલ વીડિયોમાં જે આવ્યુ છે તેને સાર્વજનિક કરવુ જોઈએ. આશ્ચર્ય છે કે મમતા બેનર્જી સાથે આટલી પોલિસ ચાલે છે અને 4 લોકો ઘટના કરીને ચાલ્યા ગયા. આ બહુ દુઃખની વાત છે. હું તેમના લાંબા આયુષ્ય અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ.' ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીને ઈજા થઈ એ પહેલાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે મમતા બેનર્જી ગાડીના દરવાજા પાસે ઉભા રહીને હાથ હલાવી રહ્યા છે અને તેમની પાછળ સુરક્ષાકર્મી પણ દેખાઈ રહ્યા છે અને ગાડી ધીમે-ધીમે ચાલી રહી છે.
જમ્મુ કાશ્મીરઃ અનંતનાગમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને કર્યા ઠાર