નરેન્દ્ર મોદીની બિહાર રેલી માટે ભાજપે 10 ટ્રેનો ભાડે લીધી
પટના, 11 ઓક્ટોબર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 27મી ઓક્ટોબરે બિહારમાં યોજાનારી મહા રેલીને માટેની તૈયારીઓમાં ભાજપના કાર્યકરો વ્યસ્ત બનેલા છે. આ પૂરજોશ તૈયારીઓએ બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારની ઊંધ હરામ દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રેલીને સફળ બનાવવા અને ભાજપના કાર્યકરો તેને સાંભળી શકે તે માટે બિહાર ભાજપે 10 ટ્રેનો ભાડે લઇને બુક કરાવી છે.
આ અંગે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા નંદકિશોર યાદવે જણાવ્યું કે ભાજપના કાર્યકરો 27મી ઓક્ટોબરની રેલીને શાનદાર અને સફળ બનાવવા માટે કમરકસી ચૂક્યા છે. તેમણે કાર્યકરો, સમર્થકો અને લોકોને લાવવા લઈ જવા માટે 10 ટ્રેનો ભાડે લીધી છે. આ 10 ટ્રેનોમાં દરેક ટ્રેનમાં 18 ડબ્બા રહેશે. જેમાં તમામ લોકોને લાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે આ ટ્રેન કિશનગંજ, પૂરણીયા, અરારીયા, ભાગલપુર, સહસ્રા, બટિયા, બેગા અને સમસ્તી પુર જેવા રાજ્યના જુદા જુદા ભાગોમાંથી દોડશે અને લોકોને રેલીના સ્થળ ઉપર લાવશે. પટના સુધી અન્ય શહેરોને પણ આ ટ્રેનથી જોડી દેવામાં આવશે. ભાજપના રાજ્ય એકમોને પણ ઉત્તર પ્રદેશ, ઝારખંડમાંથી બસ લેવા માટે કહેવામાં આવ્યું છે. બિહારમાં પૂરતી સંખ્યામાં બસ ઉપલબ્ધ નહીં હોવાના કારણે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાંથી બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ અંગે ઇસ્ટ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ કહ્યું છે કે 26 અને 27મી ઓક્ટોબરના દિવસે ખાસ ટ્રેનો દોડાવવા માટે રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે યાત્રીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેમણે કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા રાખવામાં આવી છે. લાંબા અંતરની ટ્રેનો પણ ગોઠવવામાં આવી છે.