બિહારમાં બીજેપી નેતાના પુત્રની ખૌફનાક હત્યા, એસિડમાં નવડાવીને મોતને ઘાટ ઉતાર્યો
લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર સુશાશનના દાવા કરી રહ્યા છે ત્યારે આ દાવાની પોલ ખોલતી ખૌફનાક ઘટના સામે આવી છે. અહીં બીજેપી નેતાના પુત્રની ખૌફનાક હત્યા કરાઈ છે.
અહેવાલો અનુસાર, બેગુસરાઈ જિલ્લામાં ભારદ્વાજ નગર (મુફસિલ પોલીસ સ્ટેશન) વિસ્તારમાં પૂર્વ સૈનિક અને બીજેપી મિલિટરી સેલના નેતા કૌશલ કુમારના પુત્રની હત્યા કરવામાં આવી છે.

સ્થાનિક લોકો અનુસાર, બીજેપી નેતા કૌશલ કુમારનો 21 વર્ષીય પુત્ર અંગદ કુમાર 24 એપ્રિલથી ગુમ હતો અને અપહરણ અને હત્યાની આશંકા હતી. શુક્રવારે તેનો મૃતદેહ ખોરમપુર ચકોર ગંગા ઘાટ પરથી મળી આવ્યો.
સમાચારો અનુસાર, મૃતદેહ એસિડથી સળગી ગયેલો હતો. સ્વજનોએ રિંગથી લાશની ઓળખ કરી. આશંકા છે કે બદમાશોએ પહેલા તેમના હાથ-પગ બાંધીને માર માર્યો અને બાદમાં એસિડ નાખીને હત્યા કરી. સંબંધીઓનું કહેવું છે કે તેમને એસિડ પણ પીવડાવાયો હતો.
બેગુસરાયના એસપી મનીષે કહ્યું કે, હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કારણ જાણવા માટે સુબોધ કુમાર (ડીએસપી સદર)ના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવવામાં આવી છે. મૃતકની કોલ ડિટેઈલની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિકો અનુસાર, બિજુલિયાના રહેવાસી કૌશલ કુમાર ભૂતપૂર્વ સૈનિક છે. રજા લીધા બાદ તે બાડી આઈગુ ભારદ્વાજ નગરમાં મકાન બનાવીને રહેતા હતા. આ સાથે તે મોફસિલ પોલીસ સ્ટેશનની ડાયલ 112 ગાડી પણ ચલાવે છે.
કૌશલ કુમારને બે પુત્રો હત, જેમાંથી એકે અગાઉ આત્મહત્યા કરી લીધી. હવે બીજા પુત્ર અંગદની હત્યા કરવામાં આવી છે. મૃતક આઈઆઈટીની તૈયારી કરી રહ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા અનુસાર, 24 એપ્રિલના રોજ દોહરની જીડી કોલેજ પાસે એક કોચિંગ ઓપરેટરે અંગદને ફોન કર્યો ત્યારથી તે ગુમ હતો, આ સંદર્ભે મુફસીલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
