ક્રિકેટ અને હોકીની જેમ ટીમો બનાવે છે ભાજપ : કોંગ્રેસ
ભાજપના અગ્રણી નેતા સુષ્મા સ્વરાજે 15 વર્ષ બાદ દિલ્હીની સત્તા પાછી મેળવવા માટે સખત મહેનત કરવા કાર્યકરોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આપણે કોંગ્રેસના કુશાસન સામે લોકોના ગુસ્સાને ભાજપની તરફેણમાં મતો તરીકે પરિવર્તિત કરવાની દિશામાં કામ કરવાનું છે. આ કારણે નજીકના ભવિષ્યમાં પરિવર્તન થશે.
તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણી 2014માં ભાજપની જીત પાર્ટીના પાયાના કાર્યકરોના હાથમાં છે. તેઓ મતદારોને મતદાન કેન્દ્ર સુધી ખેંચી જાય અને બાજપની તરફેણમાં મતદાન કરવા માટે પ્રેરી શકે છે. બીજી તરફ સીપીઆઈ નેતા અતુલ અંજાને કહ્યું કે મિશન 2014માં જીતવા માટે ભાજપ અને કોંગ્રેસમાં હોડ જામી છે.
ઉલ્લેખનીય છે કેભાજપની 20 પેટા સમિતીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પક્ષપ્રમુખ રાજનાથ સિંહ અને સિનિયર નેતા એલ કે અડવાણીને સામેલ કરાયા છે. આ સમિતિઓ દેશભરમાં પક્ષની રેલીઓ, જાહેર સભાઓનું આયોજન કરશે, ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે, પ્રચારમાધ્યમોમાં જાહેરખબરો પ્રચારનું કાર્ય સંભાળશે, સમાજમાં યુવાઓ, મહિલાઓ, વ્યવસાયિકો, ગ્રામીણ તથા શહેરી મતદારો, એમ જુદા જુદા વર્ગોના લોકોનો સંપર્ક કરશે, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર કરશે, પાર્ટીના નેતાઓના પ્રવાસ પ્લાન નક્કી કરશે.
ઘોષણા પત્ર સમિતિમાં મુરલી મનોહર જોશી છે જ્યારે સદસ્ય સમિતિમાં જશવંત સિંહ, યશવંત સિંહા, પ્રેમ કુમાર ધુમલ, સત્યપાલ માણિક વગેરે છે. ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રચાર, પ્રિન્ટ મીડિયા પ્રચાર માટેની સમિતિમાં સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, અમિત શાહ, ડો સુધાંશુ ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ સંપર્ક કલ્યાણ સમિતિમાં નીતિન ગડકરી, સી પી ઠાકુર, મૃદુલા સિંહા, કિરણ મહેશ્વરી છે.