એક મોદી માટે બીજા મોદીનું સૌથી મોટું બલિદાન
ભારતીય રાજકારણમાં 2014ની લોકસભાની ચૂંટણીનો માહોલ અત્યારથી જ તૈયાર થઇ ગયો છે. ભાજપ દ્વારા પક્ષમાં મહત્વનું પદ આપવામા આવ્યા બાદ દેશની મુખ્ય વિરોધી રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસમાં હલચલ શરૂ થઇ જ ગઇ છે અને મોદી પર તેમના નેતાઓ દ્વારા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરવાની શરૂઆત થઇ ગઇ છે, તો બીજી તરફ એનડીએ ગઠબંધન તૂટવાના આરે આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપ અને જેડીયુ આમ તો નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચેની લડાઇ ક્ષીતિજે પહોંચી ગઇ છે. જેના કારણે એનડીએની સાથે બિહારમાં પણ ભાજપ-જેડીયુની યુતિ લગભગ ભંગાળના આરે પહોંચી ગઇ છે. જો કે, આ પહેલા નીતિશ કુમાર એન્ડ મંડળીને મનાવવા માટે ભાજપ દ્વારા જે પ્રયાસો કરવામાં આવતા હતા, તેવા પ્રયાસ ભાજપ દ્વારા બિહારમાં જેડીયુ સાથેના જોડાણને બચાવવા માટે કરવામાં આવી રહ્યાં નથી. તેથી કહીં શકાય કે નરેન્દ્ર મોદી માટે સુશિલ મોદી સૌથી મોટુ બલિદાન આપવા માટે તૈયાર થઇ ગયા છે, કારણ કે નીતિશ કુમાર સાથે થનારી બેઠકમાં પણ તેઓ જવાની નથી.
બિહાર ભાજપના નેતાઓ દ્વારા પણ નીતિશ કુમાર અને જેડીયુ દ્વારા જે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, તેને સમર્થન કરીને પોતાની સત્તા બચાવવા કરતા ભાજપના ભાવિ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બિહારનું બલિદાન આપવાની તૈયારી દર્શાવી છે. બિહારમાં હાલ ભાજપ અને જેડીયુની સંયુક્ત સત્તા છે. જેડીયુ પાસે 118 જેટલી બેઠકો છે અને તેને બિહારમાં પોતાની સત્તા જાળવી રાખવા માટે માત્ર ચાર બેઠકોની જરૂર છે, જે તેને મળી શકે તેવી પ્રબળ સંભાવનાઓ છે. જ્યારે બીજી તરફ ભાજપના ખાતામાં 91 બેઠકો છે અને તે હાલ જેડીયુ સાથે બિહારમાં સત્તાનું સુખ ભોગવી રહ્યું છે. મોટા ભાગે રાજકારણમાં સત્તાથી મોટી કોઇ લાલસા નથી હોતી અને તેથી જ્યારે મોદીને લઇને જેડીયુનો વિરોધ વકર્યો ત્યારે એવી ધારણાઓ બાંધવામાં આવી રહી હતી કે, બિહાર ભાજપ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરીને બિહારની ગાદીની હાથમાંથી જવા નહીં દે.
મોદીના વધતા કદથી હચમચી ઉઠ્યા નીતિશ
ગોવામાં નરેન્દ્ર મોદીની પક્ષના તમામ દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી. આમ તો પહેલાથી જ નીતિશ કુમાર એન્ડ કંપની મોદીનો વિરોધ નોંધવાતી આવી છે, પરંતુ મોદીને ભાજપે આટલી મોટી જવાબદારી સોંપતા નીતિશ કુમાર એન્ડ કંપની હચમચી ઉઠી હતી અને મોદી સામેનો વિરોધ ઉગ્ર બનાવી નાંખ્યો, પહેલા કેન્દ્રમાં એનડીએ સાથેનો છેડો ફાડવાની વાત કરી અને ત્યારબાદ બિહારમાં પણ ભાજપ સાથેની મિત્રતાને તોડવા માટે જેડીયુ તૈયાર થઇ ગયું.
બિહારમાં વિરોધની હવા ઉભી કરી
બિહારમાં ભાજપ સાથે છેડો ફાડવાની હવા આપવા પાછળનું જેડીયુનું તારણ એવું હશે કે રાજકારણમાં સત્તા લોભ સર્વશ્રેષ્ઠ હોય છે અને તેથી બિહારમાં જ્યારે આ હવા ઉભી કરવામાં આવશે ત્યારે તેઓ બિહાર ભાજપમાં વિખાવદ ઉભો કરી શકશે અને ભાજપમાં મોદી વિરુદ્ધનું વાતાવરણ સર્જી શકશે, પરંતુ તેવી થયું નહીં. બિહારમાં બલિદાન આપવા માટે ભાજપે તૈયારી બતાવી છે.
બિહારમાં ભાજપ બલિદાન આપવા તૈયાર
મોદીને બિહાર ભાજપ તરફથી પૂરતુ સમર્થન મળી રહ્યું છે, જેનો તાજો દાખલો બિહારમાં ભાજપ પોતાના હાથમાં રહેલી સંયુક્ત સત્તાને છોડવા માટે તૈયાર થઇ ગયું છે. માત્ર ભાજપના કાર્યકર્તાઓ જ નહીં, મોટા નેતાઓ જ નહીં, પરંતુ બિહારમાં મંત્રી પદ ધરાવી રહેલા નેતાઓ પણ આ વખતે જેડીયુના દબાણમાં આવવા તૈયાર નથી. તેઓ પણ બિહારમાં પોતાની પાસે રહેલા મંત્રી પદોને મહત્વ નહીં આપીને જેડીયુ સામે ઢીલા પડવા માગતા ના હોય તેવું જણાઇ રહ્યું છે અને તેની પાછળનું કારણ માત્ર પોતાના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે, અને તેથી જ કહી શકાય કે મોદી માટે ભાજપ બિહારને બલિદાન કરવા તૈયાર છે.
હલી ગયુ છે કોંગ્રેસ મોદીને ગણાવી રહ્યા છે ભષ્માસુર
અહીં કોંગ્રેસ અંગે એટલા માટે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે કે, મોદીની ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકની નિયુક્તિ અને આ નિયુક્તિ બાદ પક્ષના વરિષ્ઠ નેતા અડવાણી દ્વારા જે નારાજગી ઉભી કરવામાં આવી તેને લઇને કોંગ્રેસે પોતાનું રાજકારણ રમવાની શરૂઆત કરી દીધી છે, સાથો-સાથ કોંગ્રેસના નેતાઓ દ્વારા જે પ્રકારના નિવેદન કરવામાં આવી રહ્યાં છે, તેના પરથી એવું પણ લાગી રહ્યું છે કે તેઓ મોદીની નિયુક્તિથી હલી ગયા છે અને તેમને અંદેશો આવી ગયો છે કે, જો મોદીનો વાયરો કેન્દ્રમાં પણ ચાલ્યો તો ગુજરાતની જેમ કેન્દ્રની ગાદી પણ હાથમાંથી જતી રહેશે, એટલા માટે જ કોંગ્રેસના નેતા જયરામ રમેશે નરેન્દ્ર મોદીને ભષ્માસુર પણ કહ્યા હતા અને તેમના આડકતરા વખાણ પણ કર્યાં હતા.