નવી દિલ્હી, 17 એપ્રિલ: મોદી લહેરના પ્રચારને ભાજપનો 'અહંકાર' ગણાવતાં કેન્દ્રિય મંત્રી તથા દક્ષિણ મુંબઇથી કોંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવડાએ આજે દાવો કર્યો કે આ વર્ષના અંત સુધી થનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેના સાથે ભાજપનું ગઠબંધન તૂટી જશે.
શિવસેના અને મનસેને એક જ સિક્કાની બે બાજુ ગણાવતાં મિલિંદ દેવડાએ કહ્યું હતું કે ભાજપાની સાચી સહયોગી હિન્દી ભાષીઓના વિરૂદ્ધ અભિયાન ચલાવનાર પાર્ટી મનસે છે જ્યારે તે જ વિસ્તાર (ઉત્તર પ્રદેશ અને બિહાર)થી ભાજપ, નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાનું સપનું પુરૂ કરવા માટે સૌથી વધુ સીટ મળવાનો દાવો કરી રહી છે.
એનડીએમાં સામેલ ન થવા છતાં મનસે દ્વારા ભાજપ વિરૂદ્ધ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા ન રાખવા વિશે પૂછવામાં આવતાં મિલિંદ દેવડાએ કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદી મનસેનું સમર્થન કરી રહ્યાં છે અને તેમનું સમર્થન ઇચ્છે છે. શિવસેના નરેન્દ્ર મોદીનું સમર્થન કરતી નથી અને તેમની તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર માટે સુષમાનું નામ લેવામાં આવ્યું હતું. ભાજપની સાચી સહયોગી મનસે છે. શિવસેના સાથે ભાજપનું ગઠબંધન થોડા મહિના બાદ મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં તૂટી જશે.'
તેમણે કહ્યું હતું કે 'મને લાગે છે કે ભાજપનું મનસે સાથે ગઠબંધન હશે. આ હાલના ઘટનાક્રમથી સ્પષ્ટ છે. હિન્દી ભાષીઓ, ગુજરાત તથા દક્ષિણ ભારતના લોકો વિરૂદ્ધ સમય સમય પર અભિયાન ચલાવનાર શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)નું ભાગલાના રાજકારણને લોકો સારી પેઠે સમજી ગયા છે અને મને લાગતું નથી કે લોકો તેમને વોટ આપશે.' દેશમાં મોદી લહેર હોવાના લીધે ભાજપના દાવા વિશે પૂછવામાં આવતાં મિલિંદ દેવડાએ કહ્યું 'હું કહી ન શકું કે દેશમાં એવી કોઇ લહેર છે. આમ કહેવું ધમંડ અને અહંકાર છે.'
મિલિંદ દેવડાએ કહ્યું કે 'કોઇપણ પક્ષ જે આવી વાત કરે છે, તે જનતાનું અપમાન કરે છે. વર્ષ 2004માં પણ અમે આવી તથાકથિત લહેરની વાત સાંભળી હતી, 2009ની ચૂંટણીમાં પણ આવો જ દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ચૂંટણીના પરિણામ શું આવ્યું, તે આપણી સમક્ષ છે.' તેમને પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીને કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર ન બનાવવામાં આવતાં પાર્ટીની સંભાવના પર અસર પડી છે, મિલિંદ દેવડાએ કહ્યું હતું કે આવી કોઇ વાત નથી. અમારી એવી પરંપરા નથી. જો કે 2009માં અમે સત્તામાં હતા અને મનમોહન સિંહ વડાપ્રધાન હતા એટલા માટે આમ કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા છે. એવામાં ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવર જાહેર કરવા સંવૈધાનિક રીતે યોગ્ય નથી.'
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના મુદ્દે કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે માની લોક કે જો ભાજપ કંઇક સારું પ્રદર્શન કરે છે પરંતુ તેમના સહયોગી દળ લાલકૃષ્ણ અડવાણીજીને સમર્થન કરે છે ત્યારે આ વાયદાઓનું શું થશે? તેમને પૂછવામાં આવ્યું હતું કે તે મહારાષ્ટ્રમાં શિવસેના અને મનસેમાંથી કોને મોટો ખતરો માને છે, કેન્દ્રિય મંત્રીએ કહ્યું હતું કે 'ગત વખતે મનસેએ અભૂતપૂર્વ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. ત્યારે અમને તેમના વિશે ખબર ન હતી. આ વખતે અમે તેમના પર નજર રાખી છે અને તેમના મુકાબલે કારગર રણનિતી બનાવી છે. મનસેની હાજરી છે પરંતુ લોકો આવી વહેંચનાર પાર્ટીને સ્વિકારશે નહી.'
મિલિંદ દેવડાને પૂછવામાં આવ્યું હતું કે મનસે અને શિવસેના મુકાબલામાં હોવાથી પારંપારિક મરાઠી વોટોનું વિભાજન થશે તો તેમણે કહ્યું કે '2009માં નવા સીમાંકન બાદ મારા વિસ્તારમાં બે તૃતિયાંશ નવા વિસ્તારો જોડાઇ ગયા છે. ગત પાંચ વર્ષોમાં અમે આ વિસ્તારોમાં કામ કર્યું છે. અમને પૂરો વિશ્વાસ છે કે લોકો કામ જોશે.' આપના ઉમેદવાર મીરા સાન્યાલના પડકાર વિશે પૂછવામાં આવતાં મિલિંદ દેવડાએ કહ્યું હતું કે 'દક્ષિણ મુંબઇમાં 19 ઉમેદવાર છે. તેમાં શિવસેના, મનસે, આપ વગેરે સામેલ છે. કેટલાક લોકો જીતવા માટે ચૂંટણી લડે છે. કેટલાક લોકો હરાવવા અને કેટલાક લોકો પ્રોફાઇલ વધારવા માટે. હું બધાને ગંભીરતાપૂર્વક લઉં છું.