PM પદ છોડો, ભાજપના દિગ્ગજ નેતાઓ સલામત બેઠક શોધવામાં પડ્યા છે
લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતરવા માટે થનગની રહેલા ભાજપના અનેક દિગ્જ્જ નેતાઓ આ વખતે પોતાના સંસદીય મત વિસ્તારને બદલવા ઇચ્છે છે. ચારેતરફ ઘેરાયેલી કોંગ્રેસ વિરૂદ્ધ માહોલ હોવાનો દાવો કરતા આ નેતાઓ સુરક્ષિત બેઠકની શોધમાં એટલા માટે છે કે જેથી તેઓ ફરીથી લોકસભામાં પહોંચી શકે. ભાજપ પણ જનાધાર ગુમાવી ચુકેલા લગભગ 2 ડઝન સાંસદોની ટિકિટ કાપવાની તૈયારીમાં છે. પક્ષ નવા ચહેરાઓના જોરે ચૂંટણી લડી પોતાની ઝોળીમાં વધુ બેઠકો લાવવા માંગે છે.
નવી સીટની શોધમાં રહેલા ભાજપના નેતાઓની યાદીમાં પક્ષના વરિષ્ઠ નેતામાં લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ છે. જો કે અડવાણી આનો ઇન્કાર કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજે તેમને ભોપાલથી ચૂંટણી લડવા જણાવ્યું છે. ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહ પણ સલામત બેઠક શોધી રહ્યા છે.
પક્ષના વર્તુળોમાં ચર્ચા છે કે, તેઓ ગાજીયાબાદની બદલે નોઇડાથી ચૂંટણી લડવા માંગે છે. એવું પણ કહેવાય છે કે કદાચ તેઓ ચૂંટણી પણ ન લડે કારણ કે ભાજપ આ વખતે ઓછામાં ઓછા 10 મોટા નેતાઓને રિઝર્વ રાખવા માંગે છે. આ નેતા ચૂંટણી લડવાને બદલે ચૂંટણી મેનેજમેન્ટનું કામ સંભાળી બીજાઓને ચૂંટણી લડાવશે. તેમાં રાજનાથની સાથે જેટલી, નકવી, રાજીવ પ્રતાપ રૂડી જેવા નેતા છે.
ભાજપના મહામંત્રી વરૂણ ગાંધી હવે પિલીભીતને બદલે સુલતાનપુરથી ચૂંટણી લડશે. ઉમા ભારતીને પણ મધ્યપ્રદેશને બદલે ઉત્તરપ્રદેશના અમરોહાથી મેદાનમાં ઉતારવાની યોજના છે. ગોરખા લેન્ડનું સમર્થન કરી પ.બંગાળની દાર્જીલીંગ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા પક્ષના વરિષ્ઠ નેતા જશવંતસિંહ પણ હવે નવી બેઠક શોધી રહ્યા છે.
અમૃતસરથી ત્રણ વખત સાંસદ બનેલા નવજોત સિધ્ધુ આ વખતે દિલ્હીથી ચૂંટણી લડવા માંગે છે. 2014માં ભાજપના નેતૃત્વમાં સરકાર બનવાની પુરેપુરી સંભાવના જોઇ રહેલા આ સાંસદો હવે સુરક્ષિત બેઠકની શોધમાં છે.