બિહારમાં ગુજરાત મૉડલ નહીં અપનાવે ભાજપ, ત્રીસૂત્રી ફોર્મ્યુલાથી નક્કી કરી રહ્યા છે ઉમેદવાર
બિહાર વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી એનડીએ ગઠબંધનમાં સીટ વહેંચણીનું એલાન થયા બાદ હવે ઉમેદવારોના નામનું એલાન કરવાનો વારો છે. આ દરમિયાન સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ ભાજપે ગઠબંધન અંતર્ગત તમામ વહેંચાયેલ 101 સીટ પર ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે અને તેની ઘોષણા ગમે ત્યારે થઇ શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે પાર્ટી બિહારમાં ટિકિટ વહેંચણી મામલે ગુજરાત મૉડલ નહીં અપનાવે. એટલે કે 30 ટકા સિટિંગ ધારાસભ્યોની ટિકિટ નહીં કપાય.

ભાજપ મોટાભાગે તમામ ચૂંટણીઓમાં આ ફોર્મ્યુલા અપનાવતી હોય છે, આ 30 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી યુવાઓને મોકો આપી રહી હતી પરંતુ આ વખતે બિહાર ચૂંટણીમાં આ મૉડલ નહીં અપનાવે.
ત્રીસૂત્રી ફોર્મ્યુલા શું છે?
સૂત્રોના જણાવ્યા મુજબ 16 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી શકે છે. આ ઉપરાંત 75 ઉંમરથી વધુ ઉંમરવાળાઓને પણ ટિકિટ મળી શકે છે. જેમની ટિકિટ કપાશે તેમના સ્થાને મહિલાઓ અને યુવાનોને ઉતારવાની ભાજપની રણનીતિ છે.ભાજપ જે ત્રીસૂત્રી ફોર્મ્યુલા પર ટિકિટ વહેંચણી કરવા જઇ રહ્યું છે તે અંતર્ગત જાતીય સમીકરણ, જીતી શકે તેવા ઉમેદવાર અને યુવાનોની ભાગીદારી પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સૂત્રોના હવાલાથી ઈટીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટી આ વખતે સિટિંગ ધારાસભ્યોને વધુ પ્રમાણમાં એ માટે ઉતારી રહી છે કેમ કે 2020માં તેમાંથી કેટલાય નવા ચહેરા ઉતારવામાં આવ્યા હતા. પાર્ટીનુ્ં માનવું છે કે પહેલીવારના ધારાસભ્યો અને સરકાર વિરુદ્ધ કોઈ એન્ટી ઈનકમ્બન્સી નથી માટે અન્ય રાજ્યોની જેમ અહીં એવરેજ 30 ટકા ધારાસભ્યોની ટિકિટ કપાશે નહીં.
ભાજપ આ વખતે કેટલીય મહિલા ઉમેદવારોને પણ ચૂંટણી લડાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ચર્ચા છે કે કેટલાક કેન્દ્રીય નેતાઓને પણ પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી આવું કરી ચૂકી છે.
ઉમેદવારોની ઘોષણા ક્યારે થશે?
જણાવી દઈએ કે ભાજપની કેન્દ્રીય ચૂંટણઈ સમિતિની બેઠક રવિવારે સાંજે દિલ્હી ખાતે મળી હતી, જેમાં પાર્ટી ઉમેદવારોની પહેલી યાદીને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપના મહાસચિવ બીએલ સંતોષ, કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો અને બિહારના વરિષ્ઠ પાર્ટી નેતા હાજર હતા. બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસવાલે કહ્યું કે અમે સોમવારે સાંજેથી ઉમેદવારોની ઘોષણા કરવાની શરૂઆત કરશું.












Click it and Unblock the Notifications
