નવાબ મલિકના રાજીનામાની માગ સાથે આજે ભાજપ રસ્તા પર ઉતરશે
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારના રોજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી.
મુંબઈ, 24 ફેબ્રુઆરી : મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારના રોજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી હતી. નવાબ મલિકની ધરપકડ બાદ મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ બંગાળ સુધી વિપક્ષ આ મુદ્દે ED ની કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ED ની આ કાર્યવાહી સામે વિરોધ પક્ષો આજે મોરચો ખોલવાની તૈયારી કરી રહ્યા છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી પણ આજે મહારાષ્ટ્રમાં મોટા પ્રદર્શનની તૈયારી કરી રહી છે. ભાજપની માગ છે કે, મંત્રીની ધરપકડ બાદ તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે મહાઅઘાડી સરકારે નવાબ મલિકને મંત્રી પદ પરથી હટાવવાનો ઈન્કાર કરી દીધો છે.
રિપોર્ટ અનુસાર નવાબ મલિકની ધરપકડ બાદ મહા અઘાડીની અંદર એક ચર્ચા સામે આવી છે. એનસીપી પ્રમુખ શરદ પવાર બુધવારની રાત્રે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. એટલું જ નહીં એનસીપીના તમામ મંત્રીઓ અજિત પવાર સહિત શરદ પવારને તેમના ઘરે પણ મળ્યા હતા.
કોંગ્રેસના ક્વોટામાંથી રાજ્ય સરકારના મંત્રીઓ બાળાસાહેબ થોરાત અને અશોક ચૌહાણ પણ શરદ પવારને મળ્યા હતા. નવાબ મલિકની ધરપકડ બાદ મહાઅઘાડી સરકાર મલિકની સાથે ઉભી હોય તેવું લાગી રહ્યું છે અને તેણે તેની સામે EDની કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.
નવાબ મલિકની ધરપકડ બાદ વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અન્ય રાજ્યોમાં મોરચો ખોલ્યો છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે ગોંડામાં એક રેલી દરમિયાન જણાવ્યું હતું કે, ભાજપ નર્વસ છે, તેથી તે પોતાની એજન્સીઓ દ્વારા લોકોને પરેશાન કરી રહી છે. તે જ સમયે મમતા બેનર્જીએ એનસીપી ચીફ શરદ પવાર સાથે પણ વાત કરી છે અને જણાવ્યું હતું કે, નવાબ મલિકે રાજીનામું આપવું જોઈએ નહીં.