બ્રિક્સ 2017: આતંકવાદના મુદ્દે ચીનનું સૂચન ભારતે નકાર્યું
બ્રિક્સ સમિટ પહેલાં ચીનના સૂચનને ભારતે નકાર્યું.
3 સપ્ટેમ્બરથી ચીનમાં શરૂ થનાર બ્રિક્સ સમિટ પહેલાં ચીન તરફથી ભારતને સૂચન આપવામાં આવ્યું હતું કે, ભારતે સમિટમાં પાકિસ્તાનના આંતકવાદનો મુદ્દો ન ઉંચકવો જોઇએ. ચીનના આ સૂચન પર ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે. ભારતને ચીનના આ સૂચનને નકારતાં કહ્યું હતું કે, આ સમિટમાં દરેક નેતા પોતાનો મત રજૂ કરવા માટે સ્વતંત્ર છે અને ઇચ્છે એ મુદ્દા પર બોલી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આ સમિટમાં ભારત અને પાકિસ્તાન જેવા મુખ્ય મુદ્દાઓ ઉંચકવા ભારત માટે યોગ્ય નથી.
ડોકલામ મુદ્દે બેઠક
રવીશ કુમારે આગળ કહ્યું કે, આ સમિટમાં પીએમ મોદી શું બોલશે કે તેમના ભાષણના મુખ્ય મુદ્દાઓ શું હશે એ અંગે તેઓ સમિટ પહેલાં કંઇ જ બોલવા નથી માંગતા. જ્યારે તેમને ડોકલામના મુદ્દે જિનપિંગ અને પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકનો કાર્યક્રમ હજુ નક્કી નથી થયો.
આ મુદ્દાઓ પર થશે ચર્ચા
બ્રિક્સ સમિટ અંગે જાણકારી આપતાં રવીશ કુમારે જણાવ્યું હતું કે, પીએમ મોદી 3 સપ્ટેમ્બરના રોજ ચીન પહોંચશે અને 4 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ સેશનમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રસાશન, રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્થાનિક મુદ્દા અંગે ચર્ચા થશે. સાથે પ્રાથમિક બેઠકમાં પરસ્પર સહયોગ કઇ રીતે વધારી શકાય એ અંગે ચર્ચા કરવામાં આવશે.
મુખ્ય દસ્તાવેજો પર થશે હસ્તાક્ષર
4 સપ્ટેમ્બરના રોજ તમામ બ્રિક્સના નેતાઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે, જે પછી બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ આયોજીત થશે. એ પછી ચાર મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર થાય એવી સંભાવના છે, જેમાં વિકાસ માટે બ્રિક્સ એક્શન એજન્ડા મહત્વપૂર્ણ છે. સાથે કૂટનૈતિક રૂપરેખા, પરસ્પર સહયોગ અંગે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર થશે. સમિટના છેલ્લા અને ચોથા દિવસે બધા નેતાઓ એક સમારંભમાં ભાગ લેશે, જેમાં તમામ મહેમાન દેશ થાઇલેન્ડ, મેક્સિકો, ગિનિયા, મિશ્ર અને તાજિકિસ્તાન ભાગ લેશે.