વરરાજાએ માળા પહેરાવ્યા બાદ સ્ટેજ પર ઢળી પડી દુલ્હન, મંડપમાં ફેલાયો શોક
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આવા સમયે એક લગ્ન દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી. ઘટનાની માહિતી મુજબ લખનઉમાં યોજાયેલા લગ્ન દરમિયાન દુલ્હનનું મોત થયું હતું. વરરાજાએ વધુને જયમાળા પહેરાવી હતી, જે બાદ વધુ બેહોશ થઇને ઢળી પડી હતી.
લખનઉ : હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આવા સમયે એક લગ્ન દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી હતી. ઘટનાની માહિતી મુજબ લખનઉમાં યોજાયેલા લગ્ન દરમિયાન દુલ્હનનું મોત થયું હતું. વરરાજાએ વધુને જયમાળા પહેરાવી હતી, જે બાદ વધુ બેહોશ થઇને ઢળી પડી હતી. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યા તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટના લખનઉના મલિહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભડવાના ગામનો છે. અહેવાલો અનુસાર, ગામના રહેવાસી રાજપાલ શર્માની પુત્રી શિવાંગીના લગ્ન બુદ્ધેશ્વરના રહેવાસી વિવેક સાથે નક્કી થયા હતા. શુક્રવારના રોજ (2 ડિસેમ્બર) જ્યારે વિવેકનું સરઘસ બુદ્ધેશ્વરથી મલિહાબાદ પહોંચ્યું, ત્યારે દરેકના ચહેરા પર ખુશી હતી. લગ્નનું સ્વાગત કર્યા બાદ, લોકોએ જમી લીધું હતું. જે બાદ ફેરા સમયે જયમાળા સમારોહ જોવા માટે સ્ટેજની નજીક ગયા હતા. આ દરમિયાન વર વિવેકે કન્યા શિવાંગીને જયમાળા પહેરાવી હતી.
જે બાદ શિવાંગીએ વિવેકને માળા પહેરાવી હતી. માળા પહેર્યા બાદ શિવાંગીને અચાનક ચક્કર આવતા સ્ટેજ પર ઢળી પડી હતી. જે બાદ તાત્કાલિક શિવાંગીને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
ડૉક્ટરોએ જણાવ્યું કે, શિવાંગીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. દુલ્હનના મૃત્યુના સમાચાર સાંભળીને સૌના હોશ ઉડી ગયા હતા. લગ્ન સમારોહમાં જેમના ચહેરા પર ખુશીઓ છવાઈ ગઈ હતી, તે લોકોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
આ દુ:ખદ ઘટનાને કારણે દુલ્હનની માતા કમલેશ કુમારી, નાની બહેન સોનમ, ભાઈ અમિત, કોમલ સહિતના પરિવારજનોની હાલત દયનીય બની ગઇ હતી. જ્યારે બીજી તરફ વર વિવેક પણ તેની દુલ્હનના મોતથી આઘાતમાં છે.