આસામમાં ઘાતકી હુમલો ઉગ્રવાદીઓની કાયરતા, તેમને સજા મળશે : PM નરેન્દ્ર મોદી
ગુવાહાટી. 24 ડિસેમ્બર : ઉગ્રવાદીઓના આતંકી હુમલાથી ફરી એકવાર સમગ્ર આસામ હચમચી ગયું છે. મંગળવારે થયેલા ઘૃણાસ્પદ હુમલામાં આસામના કોકરાઝાર જિલ્લાના સરલપારા ગામ અને સોનિતપુર જિલ્લાના શાંતિપુર ગામમાં મોતનું તાંડવ જોવા મળ્યું હતું. આ ઘટનામાં ઉગ્રવાદી જુથ નેશનલ ડોમેક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (એનડીએફબી)ની એક ટોળકીએ 48 આદિવાસીઓની હત્યા કરી છે. જેમાં માત્ર આસામ નહીં સમગ્ર ભારત હચીમચી ગયું છે.
આ ઘટનાને પગલે સત્તાવાળાઓએ ચાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બેમુદત કર્ફ્યૂ લાગુ કરી દીધો છે. ઉગ્રવાદીઓએ બંને જિલ્લામાં ચાર સ્થળે શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. મૃતકોમાં ચાર સ્ત્રીનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હત્યાકાંડને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને હુમલાને કાયરતાપૂર્ણ પગલું ગણાવ્યો છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ ઘૃણાસ્પદ હુમલો કરનારાઓને સજા જરૂર મળશે.
પોલીસે કહ્યું છે કે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ સંગઠનના સોંગ્જીત જૂથના સશસ્ત્ર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં દસ જણ ઈજા પામ્યા છે. સોનીતપુર જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અચોક્કસ મુદતનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.
આ હુમલાના સમાચાર બાદ વડા પ્રધાન મોદીએ આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી હતી. રાજનાથ સિંહ આજે આસામ આવશે અને પરિસ્થિતિનું અવલોકન કરશે.