બીએસ યેદીયુરપ્પાએ NDAમાં જોડાવા ભાજપને લખ્યો પત્ર
એનડીએના ભાગ બનવા તરફના આરંભિક વિધિસરના પગલા રૂપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેજેપીના પ્રમુખ બીએસ યેદુરપ્પાએ વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કરવા સાથે આજે એનડીએને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની પાર્ટી કેજેપીને ગઠબંધનનના સાથીપક્ષ બનાવવા વિચારણા કરે.
બીએસ યેદીયુરપ્પાએ જેમની સાથે ખાસ મનમેળ ન હતો તેવા એનડીએના અધ્યક્ષ અને ભાજપના પીઢ નેતા એલકે અડવાણીને પાઠવેલા પત્રમાં વિનંતી કરી છે કે એનડીએ તેની તમામ ચર્ચાવિચારણમાં સામેલ કરવા તેની તમામ બેઠકોમાં કર્ણાટક જનતા પાટીને પ્રોત્સાહન આપે. પોતે જેમાંથી છેડો ફાડયો છે તેવા ભાજપમાં તેમનો કેજેપી કદી વિલીન થશે નહીં એવી તેમની અવારનવારની જાહેર વલણ વચ્ચે તેમનો આ પત્ર આવી પડયો છે.
આ બાબત સૂચવે છે કે દક્ષિણ ભારતમાં મોદીનો જાદુ છવાયો છે. જેના કારણે વિવિધ પાર્ટીઓ તેમની સાથે જોડાઇને ભાવી કેન્દ્ર સરકાર બનાવવાની દિશામાં ભાજપ અને એનડીએના પ્રયાસોને બળ પૂરું પાડવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે 70 વર્ષીય યેદીયુરપ્પા લિંગાયત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકમાં ખાણોની ગેરકાયદેસર ફાળવણીના કૌભાંડમાં યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું.