બુરાડી મોત મિસ્ટ્રીમાં નવો વળાંક, 10 લાશો પાસે મળ્યા માત્ર 5 સ્ટૂલ
દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત મામલે તપાસ કરી રહેલ પોલિસ સામે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના 11 લોકોના મોત મામલે તપાસ કરી રહેલ પોલિસ સામે રોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઘટનાના પહેલા જ દિવસથી અંધવિશ્વાસમાં જકડાયેલ આ કેસમા પોલિસને સતત એવા સુરાગ મળી રહ્યા છે જેનાથી આ કેસ વધુ મુશ્કેલ બની રહ્યો છે. વળી, મૃતકોના પરિવારજનો એ વાત માનવા માટે તૈયાર નથી કે અંધવિશ્વાસને કારણે 11 લોકોના જીવ ગયા છે. પોલિસને હવે આ કેસમાં વધુ એક મહત્વનો સુરાગ મળ્યો છે.
10 જણાએ લગાવી ફાંસી, તો સ્ટૂલ 5 કેવી રીતે?
પોલિસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે તેને લાશો પાસે બે રજિસ્ટર, રૂ નું પેકેટ, ડૉક્ટર ટેપ અને સ્ટૂલ મળ્યા હતા. અહીં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવી તે હતી ઘટનાસ્થળેથી મળેલા સ્ટૂલોની સંખ્યા. પોલિસને ઘટના સ્થળેથી માત્ર પાંચ સ્ટૂલ મળ્યા જ્યારે ફાંસી લગાવીને લટકનાર પરિવારના સભ્યોની સંખ્યા 10 હતી. તો શું પરિવારના બે-બે સભ્યોએ સંમતિથી એક સ્ટૂલ પર ઉભા રહીને ફાંસી લગાવી? જો આમ હોય તો પોલિસ માટે હવે આ કેસમાં વધુ એક નવો પેચ ફસાઈ ગયો છે.
સાધનામાં આત્મહત્યા કે હત્યા?
પોલિસને ઘટનાસ્થળેથી જે રજિસ્ટર મળ્યા તેમાં એક ધાર્મિક સાધના વિશે લખ્યુ હતુ. રજિસ્ટરોમાં જે રીતે ધાર્મિક સાધનાની વાતો લખવામાં આવી હતી તે જ હાલતમાં પરિવારના સભ્યોના શબ મળી આવ્યા હતા. પોલિસની પ્રારંભિક તપાસમાં એ સામે આવી રહ્યુ છે કે પરિવારના નાના પુત્ર લલિતે આ આખી સાધના માટે પરિવારને તૈયાર કર્યો. પોલિસ લલિતને જ આ રહસ્યમય ઘટનાનો માસ્ટર માઈન્ડ માની રહી છે. વળી, પરિવારજનો આ થિયરીને નકારતા આરોપ લગાવી રહ્યા છે કે બહારના વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
11 પાઈપો પર શું છે પરિવારનો જવાબ?
મૃતક લલિતના ભાઈ દિનેશે મંગળવારે જણાવ્યુ કે તેમના પરિવારના મોતનો મામલો આત્મહત્યાનો નથી. તેમણે કહ્યુ કે આ મામલાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. દિનેશના જણાવ્યા મુજબ તેમનો પરિવાર કોઈ પણ બાબા કે તાંત્રિકના સંપર્કમાં નહોતો. દિનેશને જ્યારે ઘરની પાછળની દિવાલે લાગેલા 11 પાઈપો વિશે પૂછવામાં આવ્યુ તો તેણે જણાવ્યુ કે આ પાઈપ વેન્ટીલેશન માટે લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ કે ઘરની બાજુવાળો પ્લોટ ખાલી હતો જેથી હવાની અવરજવર માટે આ પાઈપો લગાવી હતી.