By Election: 5 રાજ્યોની 6 વિધાનસભા સીટ, મેનપુરી લોકસભા સીટ પર મતદાન શરૂ
By Election: પાંચ રાજ્યોની છ વિધાનસભા સીટ અને ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ પર આજે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ અને અન્ય પાંચ રાજ્યોની છ વિધાનસભા સીટ પર આજે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં રામપુર સદર અને ખતૌલી, ઓરિસ્સાની પદમપુર, રાજસ્થાનની સરદારશહર, બિહારમાં કુરહાની અને છત્તીસગઢમાં ભાનુપ્રતાપપુર વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. ચૂંટણી અધિકારીઓએ પેટાચૂંટણી માટે વ્યાપક ઈંતેજામ કર્યા છે. મૈનપુરી લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરી લોકસભા પેટાચૂંટણી થઈ રહી છે. મુલાયમ સિંહની વહુ સપા નેતા ડિંપલ યાદવ પોતાની સીટ યથાવત રાખવા માટે મૈનપુરીથી ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપે રઘુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે.
યૂપીના રામપુર સદર અને ખતૌલીમાં સપા ધારાસભ્ય આઝમ ખાન અને ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ સોનીને અલગ અલગ મામલામાં અયોગ્ય ઘોષિત કરાયા બાદ પેટાચૂંટણી થઈ રહી છે. આઝમ ખાનને અભદ્ર ભાષાના મામલામાં અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય 2013ના મુઝફ્ફરનગર રમખાણોના મામલામાં સજાનો સામનો કરી રહ્યા છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનની સરદારશહર સીટ પર કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલ શર્માનું લાંબી બીમારી બાદ નિધન થયું હોવાથી ફરી મતદાન થઈ રહ્યું છે. તેમની સીટ પર તેમના પુત્ર અનિલ કુમાર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપે ત્યાંથી પૂર્વ ધારાસભ્ય અશોક કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
ઓરિસ્સામાં પદમપુર સીટ પર બીજદ ધારાસભ્ય વિજય રંજન સિંહ બરિહાના નિધન બાદ પેટાચૂંટણી થઈ રહી છે, જ્યાં 10 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
પાછલા મહિને કોંગ્રેસ ધારાસભ્ય મનોજ સિંહ મંડાવીના નિધન બાદ છત્તીસગઢની ભાનપ્રતાપ સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. આ સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હોવાની ઉમ્મીદ છે. કોંગ્રેસે મૃતક ધારાસભ્યની પત્ની સાવિત્રી મંડાવીને સીટ પરથી ટિકિટ આપી છે, જ્યારે ભાજપે પૂર્વ ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા છે. સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.