ટુંક સમયમાં મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ થશે, આટલા મંત્રીઓનો સમાવેશ થઈ શકે!
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શિંદે કેબિનેટના બીજા કેબિનેટ વિસ્તરણ વિશે માહિતી આપી છે.
મુંબઈ : મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે શિંદે કેબિનેટના બીજા કેબિનેટ વિસ્તરણ વિશે માહિતી આપી છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણની અપેક્ષા છે. એકનાથ શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, તેમણે 9 ઓગસ્ટના રોજ પ્રથમ વખત તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે તે સમયે તેની મંત્રી પરિષદમાં 18 નવા મંત્રીઓનો સમાવેશ કર્યો હતો. બળવાખોર શિવસેના જૂથ અને ભારતીય જનતા પાર્ટીના નવ-નવ સભ્યોને તેમાં સ્થાન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા બેથી વધીને 20 થઈ ગઈ હતી. નિયમો મુજબ મહારાષ્ટ્રમાં 43 પ્રધાનો હોઈ શકે છે અને હવે રાજ્ય સરકારમાં 23 વધુ પ્રધાનો હોઈ શકે છે. અગાઉની સરકારમાં 33 પ્રધાનો હતા.
બીજેપી નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેબિનેટ વિસ્તરણ મુદ્દે ચર્ચા કરશે. નવા ધારાસભ્યોને સામાન્ય જનતાની સેવા કરવાની તક મળી શકે છે અને ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ થવાની અપેક્ષા છે.