અણ્ણા હઝારે, આ નામથી કોઇ અજાણ નહીં હોય, પોતાની નીતિ અને પોતાના સિદ્ધાંતો માટે આ સમાજસેવી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની એક અલગ છબી ધરાવે છે. રાજકારણમાં ક્યારેય પગ નહીં મુકવાની તેમની અડગ વાતો અને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાની તેમની ચળવળના કારણે દેશના યુવાનો પર તેમનો પ્રભાવ આપણને જોવા મળે છે, પરંતુ જ્યારથી સમાચાર પત્રો અને ચેનલ્સમાં અણ્ણા હઝારે અને મમતા બેનરજી વચ્ચેની નિકટતાના અહેવાલો આવવા લાગ્યાં છે, ત્યારથી એક પ્રશ્ન યુવાનો અને સામાન્ય વ્યક્તિના મનમાં ઉઠી રહ્યો છે કે શું, ખરેખર અણ્ણા હઝારે પોતાના સિંદ્ધાતો અને નીતિઓને નેવે મુકીને રાજકારણમાં ઝંપલાવી રહ્યાં છે.
તમને યાદ હોય તો, જ્યારથી અણ્ણા હઝારે એક સશક્ત લોકપાલ બિલને લઇને અનશન પર ઉતર્યા, દેશમાં એક શક્તિશાળી ટીમ ઉભી કરી, દેશના જાગૃત સમાજમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંને લઇને એક ક્રાન્તિ લાવી. દેશને ખરા અર્થમાં એક એવા સમાજસેવી મળી ગયા હતા, જે પોતાના સિદ્ધાંતો આગળ કંઇ જ ચલાવી લેવા તૈયાર નહોતાં અને તેથી જ તેમનો પ્રભાવ દેશના રાજકારણ પર પણ જોવા મળ્યો હતો. એ જ સમયે જ્યારે પણ મીડિયા દ્વારા તેમને રાજકારણમાં આવવા અંગે પૂછવામાં આવતું હતું, ત્યારે તેઓ એક વાતનો અવશ્ય ઉલ્લેખ કરતાં કે, મારા સિદ્ધાંતો મને એ વાતની પરવાનગી આપતા નથી.
હું રાજકારણમાં આવવા માટે આ બધું નથી કરી રહ્યો, મારો ઉદ્દેશ્ય દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો છે અને વિદેશમાં જે કાળા નાણાને પરત દેશમાં લાવવાનો છે. જ્યારે તેમના જ એક સાથી અરવિંદ કેજરીવાલ દ્વારા પાર્ટીની રચના કરવામાં આવી ત્યારે પણ તેમણે ઉક્ત વાત કરી હતી અને અરવિંદની પાર્ટી માટે પ્રચાર કરવાની ના પાડી દીધી હતી, પરંતુ છેલ્લા બે ચાર દિવસથી અણ્ણા હઝારેએ ક્યાંકને ક્યાંક પોતાના આ સિદ્ધાંતો સાથે નમતું જોખ્યું છે અને તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે પ્રચાર કરવા તૈયાર થઇ ગયા છે. જેને લઇને એક પ્રશ્ન ચોક્કસ પણે ઉઠી રહ્યો છે કે અણ્ણાજી આ વખતે ક્યાં ગયાં તમારા સિદ્ધાંતો?
અરવિંદ કેજરીવાલની પાર્ટીનો વિરોધ
અરવિંદ કેજરીવાલ દ્વારા અણ્ણા હઝારેની ટીમમાંથી દૂર થઇને આમ આદમી પાર્ટીની રચના કરવામાં આવી હતી. કેજરીવાલે જ્યારે પાર્ટીની રચના કરી ત્યારે અણ્ણા હઝારે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો અને તેમની ટીમનો ઉદ્દેશ્ય કોઇ પાર્ટી કરવાનો નહોતો. જો અરવિંદ પાર્ટીની રચના કરે છે, તો હું તેને સમર્થન નહીં કરું, તેના માટે પ્રચાર નહીં કરું અને તે મારી તસવીરનો પણ પોતાના પાર્ટીના પ્રચારમાં ઉપયોગ નહીં કરી શકે. આમ તેમણે જે તે સમયે અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો અને પોતાના સિદ્ધાંતો તેમને કોઇ પાર્ટીનું સમર્થન કે પ્રચાર કરવા તથા રાજકારણમાં ઝંપલાવવા માટેની પરવાનગી નહીં આપતા હોવાનું કહે છે.
મમતા બેનરજીના પ્રચાર માટે તૈયાર
નરેન્દ્ર મોદી અને કોંગ્રેસને રોકવા માટે ત્રીજા મોરચાની રચના કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રભાવ આ મોરચા પર સ્પષ્ટપણે દર્શાઇ રહ્યો છે, તેવમાં અચાનક અણ્ણા હઝારે દ્વારા મમતા બેનરજીના વખાણ કરવા અને તેમના દ્વારા મમતા બેનરજી સાથે એક મંચ પર આવવાની તૈયારી અને મમતા માટે પ્રચાર કરવાની સહમતિ અનેક પ્રશ્નોને જન્મ આપે છે. સૌથી પહેલી વાત એ ઉભી થઇ રહી છે કે, જો અણ્ણા હઝારે કોઇપણ ભોગે કોઇ પાર્ટીનું સમર્થન કરવા તૈયાર નથી તો શા માટે તેઓ મમતા બેનરજી માટે પ્રચાર કરવા તૈયાર થઇ ગયા છે? આ પાછળ તેમનો ઉદ્દેશ્ય શું હોઇ શકે છે?
રાજકારણમાં આવવાની તૈયારી?
જે રીતે અણ્ણા હઝારે દ્વારા મોદી અંગે ટીપ્પણી કરવામાં આવી હતી અને જે રીતે તેઓ મમતા બેનરજી પ્રત્યે કૂણું વલણ દર્શાવી રહ્યાં છે, એ બધી બાબત એ દિશામાં પણ ઇશારો કરી રહ્યાં છે કે ક્યાંક આ રીતે તેઓ રાજકારણમાં સક્રિય થવાની તૈયારી તો નથી કરી રહ્યાં ને. જો તેઓ રાજકારણમા આવવા માટે મમતા બેનરજીને સીડી બનાવી રહ્યાં છે તો એ પણ ક્યાંકને ક્યાંક તેમના સિદ્ધાંતોને નેવે મુકવાની દિશામાં પગલું હશે.
મમતાને શા માટે અણ્ણા પ્રત્યે થયું વિશેષ માન?
રાજકારણમાં કોઇ લાંબો સમય સુધી મિત્ર અને દુશ્મન હોતું નથી. એક સમયે મમતા બેનરજી દ્વારા એક એવોર્ડ સમારોહ દરમિયાન અણ્ણા હઝારે સાથે સ્ટેજ પર આવવાની ના પાડી દેવામાં આવી હતી, એ જ મમતા બેનરજી આજના સમયે કે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને અણ્ણા હઝારે દ્વારા તેમના વખાણ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે વારંવાર અણ્ણા હઝારેના ચરણ સ્પર્શ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એ પ્રશ્ન પણ ચોક્કસપણે ઉઠી રહ્યો છે કે અણ્ણા પ્રત્યે મમતાનુ વિશેષ માન ક્યાંક મમતાની વડાપ્રધાન પદની લાલસાથી પ્રેરિત તો નથી ને!