પાક.ના ગોળીબારમાં BSFના 1 જવાન શહીદ, 2નું મૃત્યુ
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
શુક્રવારે પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા, સાંબા, હીરાનગર અને આરએસપુરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી સાંબા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બીએસએફની 173 બટાલિયનના જવાન હેડ કોન્સ્ટેબલ જગપાલ સિંહ શહીદ થયા છે, સાથે જ બે ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું છે અને 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે. એમાં 4 આરએસપુરા, 2 સાંબા અને 5 લોકો હીરાનગર સેક્ટરમાં ઘાયલ થયા છે. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.
કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે ગોળીબારમાં ઘાયલ લોકોની મુલાકાત લીધી હતી અને એ પછી તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન હંમેશાથી આવું કરતું આવ્યું છે અને આ વખતે તેને એવો જવાબ આપવામાં આવશે, જેવો તેમણે પહેલા ક્યારેય નહીં જોયો હોય. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારને કારણે સીમા પાસે આવેલ ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે પણ પાકિસ્તાને આરએસપુરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના એક જવાન હેડ કોન્સ્ટેબલ એ.સુરેશ શહીદ થયા હતા. બીએસએફના ડીજી કેકે શર્માએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અમે પણ સામો જવાબ આપ્યો હતો અને એમાં હંમેશા પાકિસ્તાને ઘણું નુકસાન વેઠવું પડે છે.