નરેન્દ્ર મોદીને SPG સુરક્ષા આપવાનો કેન્દ્રનો ઇનકાર
નવી દિલ્હી, 30 ઓક્ટોબર : કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીને એસપીજી સુરક્ષા પૂરી પાડવાનો ઇનકાર કરતા જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પહેલાથી જ પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીને પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમની એસપીજી કવર આપવાની કોઇ જરૂર નથી. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીને વર્તમાન સમયમાં ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એનએસજી) કમાન્ડો ચોવીસ કલાક તેમને સુરક્ષા પુરી પાડી રહ્યા છે.
તાજેતરમાં બિહારના પટણામાં હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદીની સભામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ ભાજપના નેતા સુભ્રમણ્યમ સ્વામીએ મોદીને એસપીજી સુરક્ષા કવચ પૂરું પાડવા માટે માંગણી કરી હતી. સ્વામીએ વડાપ્રધાન મનમોહન સિંહને આગ્રહ કર્યો હતો કે એસપીજી કાયદામાં સુધારો કરી તેની સુરક્ષાના દાયરામાં 2014ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે.
નોંધનીય છે કે એસપીજી સુરક્ષા માત્ર વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને તેમના નજીકના પરિવારજનો ને જ આપવામાં આવે છે.