કેન્દ્ર સરકાર ગુજરાતનું 'ગ્રામ શહેરીકરણ મોડેલ' ભારતમાં અમલી બનાવશે
નવી દિલ્હી, 12 જુલાઇ : ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ પોતાની બજેટ દરખાસ્તોની રજૂઆત સમયે ગુજરાતના 'ગ્રામ શહેરીકરણ મોડેલ'ના વખાણ કર્યા હતા. એટલું જ નહીં તેમણે આગામી સમયમાં આ મોડેલ સમગ્ર દેશમાં અમલી બનાવવાની જાહેરાત કરી છે.
આ અંગેની જાહેરાત કરતા અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે 'ગ્રામ શહેરીકરણ મોડેલ'ને 'શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન' યોજના હેઠળ રજૂ કરાશે. જેના દ્વારા ભારતના ગામડાંમાં રહેતા લોકોને અસરદાર વહીવટી માળખું અને તેને સંબંધિત સેવાઓ ઉપલબ્ધ બને તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ મિશન હેઠળ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સવલતો આધારિક એક બીજાને જોડતી યોજના રજૂ કરવાનો છે. જેમાં કાર્યકુશળતા અને આર્થિક પ્રવૃત્તિઓના વિકાસને પણ આવરી લેવામાં આવશે. આ યોજનામાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી)ની મદદથી વિવિધ યોજનાઓ માટે ભંડોળ અને મૂડી એકઠી કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક વિકાસ માટે વીજળી મહત્વનું સાધન છે. આ બાબત ધ્યાનમાં રાખીને નાણા પ્રધાને 'દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના'ની જાહેરાત કરી છે. જેના દ્વારા ગામડાંના દરેક ઘરમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ બને તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાનો સ્થાનિક ઉદ્યોગ કાર્યક્રમોનો લાભ મેળવે તે માટે રૂપિયા 100 કરોડની પ્રાથમિક ફાળવણી સાથે 'સ્ટાર્ટઅપ વિલેજ ઓન્થ્રેપ્રિન્યોરશિપ પ્રોગ્રામ'ની જાહેરાત કરી છે. આ ઉપરાંત એનડીએ સરકારે 'પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના' માટે રૂપિયા 14,389 કરોડની ફાળવણી કરી છે.
જેટલીએ જણાવ્યું કે એનડીએ સરકાર ભારતના વિકાસ માટે સારી માળખાકીય સવલતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ, સુઅરેજ ટ્રીટમેન્ટ અને પીવાના પાણીનો સમાવેશ થાય છે.