રાહુલ ગાંધીનો કેન્દ્ર પર હુમલો, કહ્યુ - કોરોનાની બીજી લહેર માટે પ્રધાનમંત્રીની 'નૌટંકી' જવાબદાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા.
નવી દિલ્લીઃ આખો દેશ કોરોના મહામારીની બીજી લહેર સામે લડી રહ્યો છે. જો કે હવે ધીમે ધીમે દૈનિક કેસો ઘટી રહ્યા છે પરંતુ વેક્સીનની કમી હજુ પણ રાજ્યોમાં ચાલુ છે. આ અંગે વિપક્ષ પણ સરકારને જોરશોરથી ઘેરવામાં લાગી છે. જેના કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરી અને સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા.
વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બોલીને રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકાર અને પ્રધાનમંત્રીને આજ સુધી કોરોના સમજમાં નથી આવ્યો. કોરોના માત્ર એક બિમારી નથી, કોરોના એક બદલાતી બિમારી છે. તમે એને જેટલો સમય અને જગ્યા આપશો, તે એટલી વધુ ખતરનાક બનતી જશે. તેમણે કહ્યુ કે ભારતમાં કોવિડ-19ની બીજી લહેર માટે પ્રધાનમંત્રીની 'નૌટંકી' જવાબદાર છે. તેમણે કોરોનાને ન સમજી. ભારતનો મૃત્યુદર એક જૂઠ છે. સરકારે હવે આ મામલે સત્યા બોલવુ જોઈએ.
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે અમે ભારત સરકારને વારંવાર કોવિડ માટે ચેતવણી આપી હતી. બાદમાં પીએમ મોદીએ મહામારી સામે ભારતની જીત માટે વાત કહી હતી. આ એક ઉભરતી બિમારી છે. લૉકડાઉન અને માસ્ક પહેરવુ અસ્થાયી સમાધાન છે પરંતુ વેક્સીન જ કોવિડનુ સ્થાયી સમાધાન છે. જો આ રેટ પર વેક્સીનેશન જતુ રહ્યુ તો ત્રીજી, ચોથી અને પાંચમી વેવ આવી જશે. સરકારે સમજવુ જોઈએ કે વિપક્ષ તેમના દુશ્મન નથી, વિપક્ષ તેમનો રસ્તો બતાવી રહ્યા છે.
મ્યુટેશનને સમજે સરકાર
રાહુલ ગાંધીના જણાવ્યા મુજબ કોરોના વાયરસની પ્રકૃતિને સરકાર સમજી નથી રહી. આ વાયરસના મ્યુટેશનના જોખમને સમજવુ જોઈએ. હજુ સુધી માત્ર 3 ટકા લોકોને જ વેક્સીન મળી શકી છે, એવામાં સરકાર 97 ટકા લોકોને સંક્રમિત થવા માટે છોડી રહી છે.