એક્ઝિટ પોલને આ કારણથી નજર અંદાજ કરી રહ્યા હતા ચંદ્રાબાબુ નાયડુ
જે દિવસે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, ત્યારથી વિપક્ષના નેતાઓ પરેશાન થઈ રહ્યા છે.
જે દિવસે એક્ઝિટ પોલ સામે આવ્યા છે, ત્યારથી વિપક્ષના નેતાઓ પરેશાન થઈ રહ્યા છે. માયાવતી જેવા નેતા તો વિપક્ષની બેઠકમાં જવાની પણ ના પાડી ચૂક્યા છે. કારણ કે જાહેરમાં ભલે વિપક્ષના નેતાઓ એક્ઝિટ પોલને નકારી રહ્યા હોય, પરંતુ અંદર અંદર તેઓ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે. પરંતુ રાજકારણનો એક એવો ચહેરો પણ છે, જે બધી જ ભવિષ્યવાણીને નકારીને હજી પણ પીએમ મોદીને સત્તા પરથી હટાવવા પ્રયત્ન કરી રહ્યો છે. ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ એક્ઝિટ પોલના પરિણામને માનવા તૈયાર જ નથી. તેઓ પોતાના મિશનમાં સતત પ્રયત્ન કરી રહ્યા છે. એવું નથી કે તેમને લાગે છે કે 23મીએ પરિણામ મોદી વિરુદ્ધ જ આવશે. નિષ્ણાતોના મત પ્રમાણે તેના પાછળનું કારણ એ છે કે મોદી સત્તામાં પાછા ફરે કે ન ફરે, એનડીએ સિવાયની સરકાર બને કે બને, આંધ્રપ્રદેશમાં તેમની સરકાર ફરી આવે કે ન આવે પરંતુ નાયડુએ દરેક સ્થિતિમાં દિલ્હીમાં પોતાની હાજરીની સાબિતી આપવાની છે.
ખૂબ મહેનત કરી રહ્યા છે ચંદ્રાબાબુ
બિન મોદી સરકાર બનાવવા માટે ચંદ્રાબાબુ નાયડુ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે 2-2 વાર મુલાકાત કરી ચૂક્યા છે. તે ઓ લખનઉમાં બસપા પ્રમુખ માયાવતી અને સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળી ચૂક્યા છે. અને તેમના મત પણ સોનિયા ગાંધી સુધી પહોંચાડી ચૂક્યા છે. ચંદ્રાબાબુ એનસીપીના શરદ પવાર, એલજેપીના શરદ યાદવ, સીપીઆઈના એસ. સુધાકર રેડ્ડી, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી જેવા તમામ એનડીએ સિવાયના પક્ષના નેતાઓને મળી ચૂક્યા છે. એટટલે સુધી કે રવિવારે એક્ઝિટ પોલ આવવા છતાંય તેમણે પોતાની આ કામગીરી ચાલુ રાખી છે. કેન્દ્રમાં એનડીએ અને આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસની સરકાર બનવાની શક્યતાને નકારતા તેઓ કોલકાતામાં મમતા બેનર્જી સાથે પણ આગળની રણનતીતિ અંગે ચર્ચા કરી ચૂકયા છે. દિલ્હી પાછા આવીને તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું,'હું 23મે સુધી મારી કોશિશો ચાલુ રાખીશ.'
રાષ્ટ્રહિતનું કામ કરી રહ્યા છે
સત્ય એ છે કે આ વખતે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબબુને જગન મોહન રેડ્ડી પ્રતિસ્પર્ધા પૂરી પાડી રહ્યા છે. પરંતુ જો તેમની પાર્ટીના નેતાઓ માની રહ્યા છે કે આવી સ્થિતિમાં પણ જો તેઓ આંધ્રપ્રદેશ છોડીને દિલ્હીમાં હોય તો તેનું કારણ રાષ્ટ્રહિત છે. ટીડીપીના એક નેતા ખંબામપતિ રામ મોહન રાવનું માનવું છે કે,'તેઓ આ બધું રાષ્ટ્રહિત માટે કરી રહ્યા છે. કેન્દ્રમાં પરિવર્તન લાવવું એ સમયની માગ છે.'
દિલ્હી વગર ચંદ્રાબાબુનું રાજકારણ ફિક્કુ
ચંદ્રાબબુ નાયડુના દિલોદિમાગમાં જે રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે તેનું એક વિશ્લેષકે સ્પષ્ટ રીતે જાણવાની કોશિશ કરી છે. પોલિટિકિલ એનાલિસ્ટ પાલવઈ રાઘવેન્દ્ર રેડ્ડીનું માનવું છે કે ચંદ્રાબાબુ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વ જાળવી રાખવા આ કોશિસો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે,'નાયડુ રાજ્યમાં જીતે કે હારે તેમનું આગળનું પગલું દિલ્હી છે. આંધ્રપ્રદેશમાં ભલે ગમે તે પરિણામ આવે તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રાસંગિક બની રહેવાનું છે.' તેમના પ્રમાણે જો આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ હારી જાય તો જગનમોહન રેડ્ડી સીએમ બને ત્યારે ચંદ્રાબાબુ વિપક્ષમાં બેસવા નહીં ઈચ્છે. આવી સ્થિતિમાં નાયડુના પુત્ર લોકેશ કે પછી અન્ય કોઈ ટીડીપી નેતાને વિપક્ષના નેતા બનાવશે અને પોતે દિલ્હીના રાજકારણમાં ઝંપલાવશે. વધુમાં તેમનું કહેવું છે કે જો તેઓ આંધ્રપ્રદેશમાં સત્તામાં પાછા ફરશે તો પણ તેમને દિલ્હીની સરકારની મદદની જરૂર પડશે. કારણ કે તેમે ચૂંટણી દરમિયાન જે વાયદા કર્યા છે તે પૂરા કરવા માટે અને રાજ્યમાં રાજધાનીના નિર્માણ તેમજ પોલાવરમ જેવા પ્રોજેક્ટ માટે તેમણે કેન્દ્રની સહાયતા પર આધાર રાખવો પડશે. રેડ્ડીનું માનવું છે કે જો કેન્દ્રમાં એનડીએની બેઠકો થોડી ઓછી આવે તો નાયડુ ફરી તેમને ટેકો પણ આપી શકે છે. તેઓ કહે છે કે,'જો મોદી કેન્દ્રમાં ફરી સરકાર બનાવી લેતો આંધ્રપ્રદેશમાં નાયડુને સત્તા ફરી મળી જાય તો તેઓ એનડીએને જરૂર ન હોવા છતાંય ટેકો આપી શકે છે. કારણ કે રાજ્ય ચલાવવા દિલ્હીની મદદ જરૂરી છે.'