ચીનના વડાપ્રધાને નરેન્દ્ર મોદી સાથે શું વાત કરી?
નવી દિલ્હી, 29 મે : આજે ચીનના વડાપ્રધાન લિ ક્વિંગે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે ભારતની સાથે મજબૂત ભાગીદારી સ્થાપવાની ચીનની ઇચ્છા અંગે તેમને માહિતગાર કર્યા હતા.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ લિ તેમની સાથે વાત કરનારા કોઇ અન્ય દેશના પહેલા વડાપ્રધાન છે. તેમણે લોકસભા ચૂંટણીમાં ભારે વિજય માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ચીનના વડાપ્રધાને 25 મીનિટ સુધી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે નરેન્દ્ર મોદીને જણાવ્યું કે તેમની સરકાર ભારતની નવી સરકાર સાથે મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા માંગે છે. જેનાથી બંને દેશોના સંબંધો વધારે મજબૂત બનશે.
આ સંબંધમાં નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું કે ભારતની વિદેશ નીતિમાં ચીન હંમેશા પ્રાથમિકતા પર રહ્યું છે. લિ તરફથી મળેલા અભિનંદન સંદેશ માટે તેમનો આભાર વ્યક્ત કરતા વડાપ્રધાને જણાવ્યું કે તેમની સરકાર ચીનની સાથે 'વ્યૂહાત્મક અને સહયોગાત્મક ભાગીદારીની સંપૂર્ણ ક્ષમતા મેળવવા ઇચ્છે છે.' મોદીએ જણાવ્યું કે તેમની સરકાર દ્વિપક્ષીય સંબંધોના કોઇ પણ અટકાવેલા મુદ્દોને ઉકેલવા માટે ચીનના નેતૃત્વની સાથે ખૂબ નજીકથી કામ કરવા માંગે છે.
નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના આર્થિક સહયોગનું પણ સ્વાગત કર્યું. બંને નેતાઓએ ઉચ્ચ સ્તરે સતત આદાનપ્રદાન અને સંપર્ક જાળવી રાખવા અંગે સહમતિ વ્યક્ત કરી હતી. લિ મારફતે નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ વર્ષે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
આ સાથે ચીન એમ પણ ઇચ્છે છે કે ભારતમાંથી કોઇ એક વરિષ્ઠ નેતા પંચશીલની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં સામેલ થાય. ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તત્કાલીન ચીનના વડાપ્રધાન ચાઉ એનલાઇએ વર્ષ 1954માં પંચશીલ સિદ્ધાંત રજૂ કર્યો હતો.