CMIEના રિપોર્ટમાં દાવો - ઓગસ્ટમાં દેશનો બેરોજગારી દર એક વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તરે
દેશ માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક વર્ષમાં આપણા દેશમાં બેરોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
નવી દિલ્લીઃ દેશ માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે જે મુજબ છેલ્લા એક વર્ષમાં આપણા દેશમાં બેરોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE)ના ડેટા અનુસાર ઓગસ્ટમાં ભારતનો બેરોજગારી દર 8.3 ટકાની એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ જુલાઇમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને રોજગારી 397 મિલિયન હતી.
CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યુ હતુ કે શહેરી બેરોજગારીનો દર સામાન્ય રીતે ગ્રામીણ બેરોજગારી દર કરતાં 8 ટકા જેટલો ઊંચો હોય છે, જે સામાન્ય રીતે 7 ટકાની આસપાસ હોય છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીનો દર વધીને 9.6 ટકા થયો હતો, જ્યારે ગ્રામીણ બેરોજગારીનો દર 7.7 ટકા હતો. તેમના મતે અનિયમિત વરસાદથી વાવણીની પ્રવૃત્તિઓ પર અસર પડી, જેના કારણે ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર વધ્યો છે.
રિપોર્ટ અનુસાર ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં વધીને 7.7 ટકા થયો હતો, જે જુલાઈમાં 6.1 ટકા હતો. વધુ મહત્ત્વની વાત એ છે કે રોજગાર દર 37.6 ટકાથી ઘટીને 37.3 ટકા થયો છે. વ્યાસે વધુમાં જણાવ્યુ હતુ કે ગ્રામીણ બેરોજગારીનો દર ઘટી શકે છે કારણ કે ચોમાસામાં વિલંબ થવાથી ચોમાસાની સિઝનના અંતમાં કૃષિ પ્રવૃત્તિઓમાં વધારો થશે, પરંતુ શહેરી બેરોજગારીનો દર કેટલો હશે તે સ્પષ્ટ નથી. ડેટા મુજબ ઓગસ્ટ દરમિયાન હરિયાણામાં સૌથી વધુ 37.3 ટકાનો બેરોજગારી દર હતો. તે પછી જમ્મુ અને કાશ્મીર 32.8 ટકા, રાજસ્થાન 31.4, ઝારખંડ 17.3 અને ત્રિપુરા 16.3 ટકા સાથે છે.
ચિદમ્બરમે સાધ્યુ નિશાન
વળી, અહેવાલ આવ્યા પછી કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ટ્વિટ કર્યુ કે જે દિવસે ભાજપ પ્રવક્તાએ દાવો કર્યો કે દેશમાં રોજગાર દર વધી રહ્યો છે, એ જ દિવસે CMIEએ અહેવાલ આપ્યો કે ઓગસ્ટમાં બેરોજગારીનો દર વધીને 8.3 ટકા થઈ ગયો, જ્યારે શહેરમાં બેરોજગારી દર 9 ટકા હતો.