રાહુલ ગાંધી પર વિદેશ મંત્રીના નિવેદન બાદ કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ચીન મુદ્દે DDLJ policy અપનાવી રહી છે સરકાર
DDLJ policy : વિદેશ મંત્રી એસ. રાહુલ ગાંધી અને ચીનના રાજદૂત વચ્ચેની બેઠક પર જયશંકરે ઝાટકણી કાઢી હતી. જેના પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે.
DDLJ policy : ભારત-ચીન સીમા વિવાદ આઝાદી પૂર્વે ચાલ્યો આવી રહ્યો છે. જે હંમેશા રાજકારણનો હોટ ટોપિક પણ રહ્યો છે. આ વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ અંગે શનિવારના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે વિપક્ષ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જે સામે કોંગ્રેસે પલટવાર કર્યો છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યા અનુસાર ચીન મુદ્દે મોદી સરકાર DDLJ policy એટલે કે, Deny (સ્વીકાર ન કરો), Distract(ધ્યાન ભટકાવો), Lie (જૂઠ બોલો), Justify (ન્યાય આપવાની કોશિશ કરો) ની પોલિસી અપનાવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સરકાર દ્વારા એલએસી ચીનના અતિક્રમણ છૂપાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જયરામ રમેશે જણાવ્યું હતું કે, મે 2020માં જ્યારે LAC પર અથડામણ થઈ હતી. જે બાદ ભારતે લદ્દાખમાં 65 માંથી 26 ચોકીઓ પર નિયંત્રણ ગુમાવ્યું છે. આ સાથે જ વિદેશ મંત્રીએ 1962ના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેના પર કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, તે સમયે ભારતે પોતાના ક્ષેત્રની રક્ષા કરતા યુદ્ધ લડ્યું હતું, જ્યારે 2020માં ભારતે ચીનની આક્રમકતા સ્વીકારી હતી. આવી સ્થિતિમાં 1962 અને 2020ની સરખામણી કરી શકાય નહીં.
જયરામ રમેશે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી અને ચીનના રાજદૂતની મુલાકાતને લઈને વિદેશ મંત્રીએ આપેલું નિવેદન ખૂબ જ ખરાબ છે. શું વિપક્ષના નેતા વેપાર, રોકાણ અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વના દેશોના રાજદ્વારીઓને ન મળી શકે?
શું હતું વિદેશ મંત્રીનું નિવેદન?
શનિવારના રોજ વિદેશ મંત્રી એસ જયશંકર તેમના અંગ્રેજી પુસ્તક "ધ ઈન્ડિયા વે : સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન 'ભારત માર્ગ' ના મરાઠી અનુવાદના વિમોચન સમારોહ માટે પૂણે પહોંચ્યા હતા. જે દરમિયાન પત્રકારોએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો. એસ જયશંકરે જણાવ્યું હતું કે, ઘણા લોકો જમીનની વાત કરીને ચીનના મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે, જ્યારે તેમણે 1962માં જ તેના પર કબ્જો કરી લીધો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આ પછી પણ એ લોકો એવી રીતે વાત કરી રહ્યા છે કે, જાણે આ બધું તાજેતરમાં થયું હોય અને 2017માં રાહુલ ગાંધી ચીનના રાજદ્વારીને મળ્યા હતા. તેના પર તેમણે ટોણો મારતા કહ્યું કે, હું ચીનના રાજદૂતને ફોન કરીને માહિતી માંગતો નથી. તેમના નિવેદનથી કોંગ્રેસ નારાજ થયા છે.