લોકસભા ચૂંટણી 2014 પહેલાં જ રાહુલ બની જશે વડાપ્રધાન?
રવિવારે વડાપ્રધાનના નિવાસ સ્થાનની બહાર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં દેખાવો થયા અને કોલસા કૌભાંડ તેમજ રેલવે લાંચ કૌભાંડના મુદ્દે વડાપ્રધાનનું રાજીનામુ મગાયું. સામાન્ય રીતે વડાપ્રધાનના રાજીનામાના મુદ્દે સંસદમાં હોબાળો થતો હોય છે પરંતુ વડાપ્રધાનના ઘરની બહાર દેખાવો થયા તેમજ ભાજપના બદલે ભાજપના યુવા મોરચાએ દેખાવો કર્યા તે નવાઇ લાગે તેવું છે. આના સંકેતો બતાવે છે કે વડાપ્રધાન પદે મનમોહન સિંહ હવે ઝાઝો સમય નહીં રહે. જોકે કોંગ્રેસના પ્રવકતા જનાર્દન દ્વિવેદીએ આનો ઈનકાર કર્યો છે અને ૨૦૧૪ સુધી મનમોહન જ વડાપ્રધાન રહેશે તેમ જણાવ્યું છે.
એક પછી એક કૌભાંડ બહાર આવતાં વડાપ્રધાન અને યુપીએ સરકાર માટે બચાવ કરવાનું મુશ્કેલ બની રહ્યું છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે વધુ પડકારજનક સ્થિતિ ઊભી થઇ રહી છે. એમાંય વડાપ્રધાને પોતે બે પ્રધાનો - અશ્વિની કુમાર અને રેલવે પ્રધાન બંસલના રાજીનામાં લેવામાં વિલંબ થયો અને સોનિયા ગાંધીએ આદેશ આપ્યો તેનાથી એ તો બહાર આવ્યું જ કે કોંગ્રેસી પ્રમુખ અને વડાપ્રધાન વચ્ચે બધું સમુસૂતરું નથી. આ વાત હવે એટલી હદ સુધી વધી રહી છે કે, વડાપ્રધાન મનમોહનને વિદાય આપવામાં આવે અને તેની જગ્યાએ બીજો જ કોઇ ચહેરો આવે.
અગાઉ જેટલા કૌભાંડો આવ્યા તેમાં સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન વચ્ચ ઝાઝું અંતર જણાયું નહોતું. બંનેના સૂર એક જ નીકળતા હતા પરંતુ કોલસા કૌભાંડમાં સીબીઆઇના રિપોર્ટમાં વડાપ્રધાન કાર્યાલય અને કાયદા મંત્રી દ્વારા ફેરફાર અને તેનાથી નારાજ સુપ્રીમ કોર્ટ દ્વારા તેની ટીકા બાદ કોંગ્રેસ માટે બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો. રેલવે લાંચ કૌભાંડમાં પણ પવન બંસલ સુધી રેલો પહોંચી ગયો હતો. આમ છતાં આ બંને મંત્રીઓના રાજીનામાંમાં વિલંબ કરાઇ રહ્યો હતો અને તેનું કારણ એક જ હતું આ બંને મંત્રીઓ વડાપ્રધાનના માનીતા અને તેમની પસંદગીથી નિમાયેલા હતા.
આ કેસોમાં સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે વડાપ્રધાન મનમોહન મિડિયા સમક્ષ આવે અને સરકારનો બચાવ કરે, પરંતુ મનમોહને તેમ ન કર્યું. છેવટે સોનિયાએ આદેશ આપવો પડયો અને પછી બંસલ તથા અશ્વિનીનાં રાજીનામાં પડયાં. હવે વાત એ હદ સુધી પહોંચી ગઇ છે કે સોનિયા ગાંધીને પણ હવે મનમોહન ભારરૃપ લાગે છે. કોંગ્રેસના સૂત્રોનો તો દાવો છે કે મેડમે વડાપ્રધાનને બદલવા નિર્ણય કરી લીધો છે. આ સંદર્ભે તાજેતરમાં કોંગ્રેસ પ્રમુખે રાષ્ટ્રપતિને મળી ચર્ચા પણ કરી હતી.
નવો ચહેરો કોણ હશે તે વિશે અત્યારે બે નામો ચર્ચામાં છે. તેમાં એક છે કમલનાથ. બીજા છે દિગ્વિજયસિંહ. કમલનાથ પ્રમાણમાં નિર્વિવાદિત છે. તેમની કામગીરી પણ સારી રહી છે. સામે પક્ષે દિગ્વિજય બડબોલા છે. વારંવાર વિવાદો સર્જતા રહે છે. કમલનાથ સોનિયાના માનીતા છે જ્યારે દિગ્વિજય રાહુલના માનીતા છે. ત્રીજું નામ ચિદમ્બરમ્નું પણ છે. જોકે ચિદમ્બરમ્ 2જી કૌભાંડમાં ફસાયેલા છે, દક્ષિણના છે અને વળી ઔદ્યોગિક જગતની નજીક છે. આ બાબતો વડાપ્રધાન પદે તેમની પસંદગીમાં આડે આવે તેમ છે. દિગ્વિજયને સંગઠનની જવાબદારી સોંપાય તેવી શક્યતા વધુ છે. આમ, કમલનાથ તરફ સોનિયાનો વધુ ઝોક જણાય છે. આગામી ચૂંટણી રાહુલની આગેવાનીમાં લડાવાની છે અને રાહુલ પણ સોનિયાના પગલે ચાલીને સત્તાથી દૂર રહેશે તેમ મનાય છે. આવા સંજોગોમાં પણ એક વાત તો સ્પષ્ટ જ છે કે મનમોહન તો આગામી ચૂંટણીના કર્ણધાર નહીં જ હોય.