કિશનગંજ, બિહાર, 16 એપ્રિલ : આજે રાહુલ ગાંધીની 'ઉલ્લુ' ટિપ્પણીના વળતા જવાબમાં ભાજપે જણાવ્યું છે કે કોંગ્રેસ લોકોને ઉલ્લુ બનાવીને જ સત્તામાં આવી છે. લોકોને ઉલ્લુ બનાવવામાં કોંગ્રેસ હિસ્ટ્રીશીટર છે. આ કારણે જ યુવરાજ આવું બોલે છે.
આજે બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ઉશ્કેરાઇને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરતા કહ્યું હતું કે 'મોદીજી, હિન્દુસ્તાન કો ઉલ્લુ બનાના બંધ કરો'. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં વિકાસ થયો હોવાનું ખોટું ચિત્ર લોકો સામે રજૂ કરી રહ્યા છે.
આ ટિપ્પણીથી લાલઘુમ બનેલી ભાજપે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભાજપના મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે 'કોંગ્રેસ લોકોને ઉલ્લુ બનાવીને જ સત્તામાં આવી છે. લોકોને ઉલ્લુ બનાવવામાં કોંગ્રેસ હિસ્ટ્રીશીટર છે. આ કારણે જ યુવરાજ આવું બોલે છે'.
આજે પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ટાટા મોટર્સને સાણંદમાં પ્લાન્ટ સ્થાપવા રૂપિયા 10,000 કરોડની લોન માત્ર 1 ટકાના વ્યાજ પર આપી છે. જ્યારે સામાન્ય માણસને બેંકમાંથી લોન લઇને 12 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે સાણંદમાં બનેલી પ્રત્યેક નેનો પર નરેન્દ્ર મોદીની ગુજરાત સરકાર રૂપિયા 44,000 મદદ કરી રહી છે.
રાહુલે એમ પણ જણાવ્યું કે ગુજરાત સરકારનું શિક્ષણ, સ્વાસ્થ્ય અને કલ્યાણ યોજનાઓ પાછળનું બજેટ રૂપિયા 10000 કરોડ કરતા પણ ઓછું છે.