તેલંગાણા મુદ્દે કોંગ્રેસની પહેલમાં રાજકીય હિત છુપાયેલું : નરેન્દ્ર મોદી
હૈદરાબાદ, 31 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ અલગ તેલંગાણા રાજ્યની રચના પર કોંગ્રેસે આપેલી મંજૂરીને લોકોના સતત સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. આ સાથે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે આ મુદ્દાને લાંબા સમય સુધી ટાળવાનું ચાલુ રાખ્યું હતું. હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તેને મંજૂરી આપીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહી છે.
તેલંગાણા પર આ પહેલનું સ્વાગત કરતા નરેન્દ્ર મોદીએ આ સંબંધમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના ઇરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી. આ બાબતમાં આંઘ્રપ્રદેશના લોકોને લખેલા એક ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "લોકોની શક્તિને કારણે કોંગ્રેસને પાછલા કેટલાક દિવસોમાં આમ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. જે બાબતને કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી ટાળી રહી હતી, તે હવે માનવી પડી છે."
નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે આટલા વર્ષોમાં આંધ્રપ્રદેશના લોકોનો સામનો કરવાને બદલે કોંગ્રેસ સમિતીઓ અને રિપોર્ટો પાછળ છુપતી રહી છે. શું તેઓ આ માટે આંધ્રપ્રદેશના લોકોની માફી માંગશે?