નવી દિલ્હી, 11 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014નો પ્રચાર તેની ચરમસીમાએ છે ત્યારે કોંગ્રેસે વિવાદનો મદપુડો છંછેડ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પૂર્વ વડાપ્રધાન અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીનો ફોટો મૂકીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમનું નિવેદન મુક્યું છે. નિવેદનમાં લખેલું છે કે "અટલે કહ્યું હતું કે મોદીએ રાજધર્મ નિભાવ્યો નથી. અટલ બિહારી વાજપેયી જેમને મુખ્યમંત્રી તરીકે પણ અયોગ્ય માનતા હોય તેવી વ્યક્તિના હાથમાં દેશની સુકાન કેવી રીતે સોંપાય." આ બાબતે વિવાદને વેગ આપ્યો છે.
જો કે કોંગ્રેસે પોતાના સત્તાવાર નિવેદનમાં આ મુદ્દે બચાવ કર્યો છે. ભાજપે માંગ કરી છે કે કોંગ્રેસ તેની વેબસાઇટ પરથી અટલ બિહારી વાજપેયીનો ફોટો દૂર કરે.
વાજપેયી માનતા હતા કે વર્ષ 2002માં થયેલા કોમી રમખાણોને રોકવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા હતા. જેના કારણે નરેન્દ્ર મોદી સામે કોઇ પગલાં લેવામાં નહીં આવે તો પાર્ટી લોકવિશ્વાસ ગુમાવી દેશે.
આ અંગે વાજપેયીએ મનાલીથી જણાવ્યું કે કેટલાક લોકો ઇચ્છતા હતા કે તેમને (નરેન્દ્ર મોદીને) પાર્ટીમાંથી દૂર કરવામાં આવે, મારો પણ વિચાર તેવો જ હતો. એનડીએની સરકારમાં મહત્વના હોદ્દા ધરાવતા જશવંત સિંહે આ બાબતની પુષ્ટિ કરી હતી.
જશવંત સિંહે જણાવ્યું કે વર્ષ 2002માં ત્યાં સુધી ધમકી આપી હતી કે જો નરેન્દ્ર મોદી સામે પગલાં ભરવામાં નહીં આવે તો તેઓ રાજીનામુ આપી દેશે. વાજપેયીએ રમખાણ પીડિતોને મહત્તમ સહાય કરવા માટે મોદીને અનેક પત્રો પણ લખ્યા હતા. જો કે તેનો કોઇ જવાબ આવ્યો ન હતો.