Bharat Jodo Yatra: કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોંગ્રેસ કરશે 'ભારત જોડો યાત્રા', આજે થશે લોગો લૉન્ચ
કોંગ્રેસ 7 સપ્ટેમ્બરથી દેશમાં 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ હાલમાં મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર દેશની કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે ત્યારે તે 7 સપ્ટેમ્બરથી દેશમાં 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે. જેના માટે તેણે સોમવારે રાજધાનીના પાર્ટી કાર્યાલયમાં લાંબી બેઠક પણ યોજી હતી. આજે પાર્ટી આ યાત્રાનો લોગો લૉન્ચ કરવા જઈ રહી છે. પાર્ટી આ સંદર્ભે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે જેમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ સામેલ થશે.
નોંધનીય છે કે આ મુલાકાતને લઈને સોમવારે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ યાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલશે જેની શરુઆત કન્યાકુમારીથી થશે. જેમાં પાર્ટીના કાર્યકરો ઉપરાંત સામાજિક કાર્યકરો પણ જોડાઈ શકે છે.
જયરામ રમેશે કરી આ અપીલ
આ વિશે વાત કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે, '80 વર્ષ પહેલા આ દિવસે મહાત્મા ગાંધીના નેતૃત્વ અને પ્રેરણા હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત છોડો આંદોલન શરૂ કર્યુ હતુ. જેણે 5 વર્ષ પછી દેશને આઝાદી અપાવી હતી. આ પદયાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 3,500 કિલોમીટરનુ અંતર કાપશે અને લગભગ 150 દિવસમાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાગ લેશે.' તેમણે કહ્યુ કે, 'જે લોકો ભય, ધર્માંધતા અને પૂર્વગ્રહ, આજીવિકાનો વિનાશ, વધતી બેરોજગારી અને વધતી અસમાનતાની રાજનીતિનો વિકલ્પ પૂરો પાડવાના રાષ્ટ્રીય પ્રયાસનો ભાગ બનવા માગે છે તેઓએ આ યાત્રામાં ભાગ લેવો જોઈએ'.
'મારી સાથે કોઈ ચાલે કે ના ચાલે, હું એકલો ચાલીશ'
વળી, રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે 'કોઈ મારી સાથે ચાલે કે ના ચાલે, હું એકલો જ ચાલીશ'. તેમણે કહ્યુ કે આજે દેશના રાજકારણનુ ધ્રુવીકરણ થઈ ગયુ છે. અમે યાત્રામાં લોકોને જણાવીશુ કે કેવી રીતે એક તરફ સંઘની વિચારધારા લોકોને તોડવાનુ કામ કરી રહી છે અને બીજી તરફ અમે બધાને સાથે લઈને ચાલવાનુ કામ કરી રહ્યા છીએ.