સોનિયા ગાંધીને ઈડી સમનના વિરોધમાં 21 જુલાઈએ દેશવ્યાપી પ્રદર્શન કરશે કોંગ્રેસ
કોંગ્રેસના તમામ નેતાઓ દેશભરમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના તમામ નેતાઓ દેશભરમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. જે રીતે સોનિયા ગાંધીને ઈડીની નોટિસ મોકલવામાં આવી છે તેના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ 21 જુલાઈએ વિરોધ કરશે. તમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા ગાંધીને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં ઈડી દ્વારા રાહુલ ગાંધીને પણ નોટિસ મોકલવામાં આવી છે. રાહુલ ગાંધીએ ઈડીના કાર્યાલયમાં 30 કલાકથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે. અહીં ઈડીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા ઘણા અલગ-અલગ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.
આજે પાર્ટી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે જેમાં તમામ સચિવો, પ્રદેશ પ્રભારી, પીસીસી ચીફને બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં ભારત જોડો યાત્રાના કાર્યક્રમ અને સંગઠન અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પાર્ટીના ટોચના નેતાઓ શામેલ થશે અને આ દરમિયાન વિરોધ પ્રદર્શન અને લોકો સુધી પહોંચવાના અન્ય કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે સંસદનુ ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે. આ સ્થિતિમાં કોંગ્રેસના સાંસદો પણ ગૃહની અંદર વિરોધ પ્રદર્શન કરી શકે છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સિંહણ છે. તેઓ આ બધી વસ્તુઓથી ડરતા નથી. તેમણે આવી ઘણી વસ્તુઓ જોઈ છે. તે ઈડી ઑફિસ જશે અને આ સરકારનો સામનો કરશે. તંમને જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ સોનિયા ગાંધીને સમન્સ પાઠવ્યુ છે. તેમને 21 જુલાઈએ સવારે 11 વાગ્યે ઈડી ઑફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.
વાસ્તવમાં ખરાબ તબિયતના કારણે સોનિયા ગાંધી અગાઉ ઈડીની ઑફિસમાં જઈ શક્યા નહોતા. તેમને 8 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ પરંતુ તે સમયે સોનિયા ગાંધીને કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હતુ અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈડી આ સમગ્ર મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો રેકોર્ડ કરવા માંગે છે. ગયા મહિને રાહુલ ગાંધીની ઈડી દ્વારા ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી.