આખરે આ મામલે રાહુલ ગાંધીએ PM મોદીને આપી માત
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદીને આપી માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને હવે ધીરે-ધીરે કોંગ્રેસને પણ સોશિયલ મીડિયાની શક્તિનો અંદાજ આવી ગયો છે. સોશિયલ મીડિયાની તાકાત અને પહોંચ દિવસે ને દિવસે વધતી જાય છે, જેને ધ્યાનમાં રાખતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારી દીધી છે. એક રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક સમયમાં પીએમ મોદીથી વધુ ટ્વીટ કર્યાં છે. પીએમ મોદી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને રાહુલ ગાંધીએ તેમને પણ માત આપી છે. રિટ્વીટના મામલે પણ રાહુલ ગાંધી આગળ છે, તેમના ટ્વીટ આશરે 2784 વાર રિટ્વીટ થયા છે, પીએમ મોદીના ટ્વીટ 2506 વાર રિટ્વીટ થયા છે અને અરવિંદ કેજરીવાલના ટ્વીટ 1722 વાર રિટ્વીટ થયા છે. ઓક્ટોબરમાં રાહુલ ગાંધીનું એક ટ્વીટ આશરે ચાર હજારથી પણ વધુ વાર રિટ્વીટ કરવામાં આવ્યું હતું.
વિશ્વના રાજનેતાઓમાં સોશિયલ મીડિયા પર પીએમ મોદીના સૌથી વધુ 35 મિલિયન ફોલોઅર્સ છે. અરવિંદ કેજરીવાલના ફોલોઅર્સ 12 મિલિયન છે. રાહુલ ગાંધીના ફોલોઅર્સમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 10 લાખ વધી છે. રાહુલ ગાંધી વર્ષ 2015માં ટ્વીટર પર આવ્યા હતા અને ત્યાર બાદ 12 મહિનાના સમયગાળામાં તેમણે માત્ર એક જ ટ્વીટ કર્યું હતું. જો કે, વર્તમાન સમયમાં તેઓ સૌથી આગળ છે. વર્તમાન સમયમાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોતાની રણનીતિમાં ખાસું પરિવર્તન કર્યું છે. જુલાઇ માસમાં દિવ્યા સ્પંદનને કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે એવા મુદ્દાઓ પર ટ્વીટ કર્યા, જે તે સમયે ખૂબ ચર્ચામાં હતા. આને કારણે ઓનલાઇન યૂઝર્સ અમારી સાથે જોડાયા.