વિકરાળ બની રહ્યો છે કોરોના, આ દેશોમાં કેસ વધતા ભારતમાં પણ એલર્ટ
ભારતમાં કોરોનાના કેસો વધે તે પહેલા, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કેન્દ્રીય સ્તરે ફરીથી તેના રિપોર્ટિંગને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના કુલ 3490 સક્રિય કેસ છે.
કોરોના સંક્રમણનો ગ્રાફ ફરી એકવાર વધી રહ્યો છે. આ સાથે કોરોના સંક્રમણ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઘણા દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જોકે, ભારતમાં કોરોના સંક્રમણમાં વધારો થયો નથી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે જણાવ્યું છે. આ સાથે આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા લેવા માટે જણાવ્યું છે.
જાપાન, અમેરિકા અને ચીનમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા બાદ આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ વધારવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે, નવા પ્રકારો અને તેમના ફેલાવાને સમયસર શોધી શકાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોના આરોગ્ય સચિવો અને મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન આપવા જણાવ્યું છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન, જાપાન અને કોરિયામાં કોવિડના વધતા કેસ બાદ દેખરેખ વધારવામાં આવી છે.
કોરોના વાયરસના નવા પ્રકારોને ઓળખવા માટે રાજ્યોને તમામ પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જિનોમ સિક્વન્સિંગના તમામ કેસોની જાણ INSACOG (ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ) દ્વારા થવી જોઈએ. જીનોમ સિક્વન્સ દ્વારા એ જાણી શકાય છે કે, વાયરસનો કયો પ્રકાર વધુ ફેલાઈ રહ્યો છે અને કયા ભાગમાં, કયો પ્રકાર ફેલાઈ રહ્યો છે. જો વાયરસ પરિવર્તિત થાય છે અને એક નવો પ્રકાર પર્યાવરણમાં પ્રવેશે છે, તો તે પણ શોધી શકાય છે.
ભારતમાં કોરોનાના કેસો વધે તે પહેલા, જીનોમ સિક્વન્સિંગ વધારવા અને કેન્દ્રીય સ્તરે ફરીથી તેના રિપોર્ટિંગને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના કુલ 3490 સક્રિય કેસ છે. આ અઠવાડિયે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે.