દેશમાં કોરોના સંક્રમણ વધ્યું, 37,875 પોઝિટિવ કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. દેશભરમાંથી કોવિડના 37,875 નવા કેસ નોંધાયા છે.
નવી દિલ્હી : કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દરરોજ વધઘટ થતી રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. દેશભરમાંથી કોવિડના 37,875 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોના સંક્રમણને કારણે 369 લોકોના મોત થયા છે.
આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, 39,114 દર્દીઓએ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે બાદ કોવિડમાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 3,22,64,051 થઈ ગઈ છે.
બુધવારના રોજ સવારે જાહેર થયેલા આંકડા મુજબ કોરોનાના કેસમાં 6 હજાર કેસનો વધારો જોવા મળ્યો છે. જ્યારે મંગળવારના રોજ સવારે દેશમાંથી 31,322 નવા કેસ નોંધાયા હતા, આજે (8 સપ્ટેમ્બર) 37 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
નવા કેસ સાથે દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,30,96,718 થઈ ગઈ છે, જેમાંથી હાલ 3,91,256 એક્ટિવ કેસ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 369 લોકોના મોત સાથે દેશમાં મૃત્યુની કુલ સંખ્યા 4,41,411 થઈ છે.
વર્તમાન સમયમાં કેરળની પરિસ્થિતિ ચિંતાજનક છે, કોરોનાના નવા કેસમાં સતત વધારો થયો છે. રાજ્યમાં દરરોજ 25 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તાજે તરમાં કેરળમાં 25,772 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 27,320 લોકો રિકવર થયા છે. આ સાથે કેરળમાં છેલ્લા 24 કલાકમાં 189 લોકોના મોત થયા છે.
હાલ દેશમાં રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 70,75,43,018 લોકોને અત્યાર સુધી રસીની પ્રથમ કે, બીજો ડોઝ આપી દેવામાં આવ્ચો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાની રસીના 78,47,625 ડોઝ આપવામાં આવ્યા છે.