કોરોના વાયરસના કેસોમાં નજીવો ઘટાડો, 24 કલાકમાં 3.66 લાખ નવા કેસ અને 3.53 લાખ દર્દી થયા રિકવર
દેશભરમાં કહેર વરસાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સંક્રમણના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે
નવી દિલ્લીઃ દેશભરમાં કહેર વરસાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે સંક્રમણના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે અને દૈનિક કેસો 4 લાખથી ઓછા નોંધવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,66,161 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3,53,818 દર્દી રિકવર થયા છે. આ દરમિયાન સંક્રમણના કારણે 3754 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃતકોની સંખ્યા વધીને 2,46,116 સુધી પહોંચી ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 2,26,62,575 અને રિકવર દર્દીઓની સંખ્યા 1,86,71,222 થઈ ગઈ છે. વળી, દેશના અલગ અલગ રાજ્યોમાં હાલમાં સક્રિય કેસ 37,45,237 છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે હાલમાં રસીકરણ અભિયાન ચાલુ છે જેમાં અત્યાર સુધી વેક્સીના કુલ 17,01,76,603 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે દિવસ પછી ફરીથી કરાયો વધારો
મહારાષ્ટ્ર અને દિલ્લીમાં ઘટ્યા કોરોના કેસ
તમને જણાવી દઈએ કે રવિવારે મહારાષ્ટ્રમાં પણ કોરોના વાયરસના દૈનિક કેસોમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 48,401 નવા કેસ રેકૉર્ડ કરવામાં આવ્યા જ્યારે આ દરમિયાન 60,226 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા આવ્યા. વળી, મુંબઈમાં કોરોના વાયરસના દૈનિક કેસ ઘટ્યા અને 2403 નવા કેસ નોંધવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્લીથી પણ કોરોના વાયરસના કેસમાં રાહતના સમાચાર છે. દિલ્લીમાં જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસ ઘટી રહ્યા છે ત્યાં પૉઝિટિવીટી રેટ સતત નીચે આવી રહ્યો છે. જો કે વિશેષજ્ઞોનુ કહેવુ છે કે કોરોના વાયરસનો ટ્રેન્ડ જોવા માટે હજુ થોડા સપ્તાહ રાહ જોવી પડશે.