કોરોનાના કેસોમાં સામાન્ય વધારો, 24 કલાકમાં મળ્યા 15823 નવા કેસ અને 22844 દર્દી રિકવર
કોરોના વાયરસના દૈનિક કેસોમાં મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે ફરીથી વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે ફરીથી વધારો જોવા મળ્યો છે અને નવા કેસ 15 હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15,823 નવા દર્દી મળ્યા છે જ્યારે 22,844 દર્દીઓની રિકવરી થઈ છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના કારણે 226 લોકોના મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 4,51,189 થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,01,743 અને રિકવર દર્દીઓની સંખ્યા 3,33,42,901 થઈ ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસથી રિકરવ થનાર દર્દીઓની સંખ્યામાં આજે ફરીથી વધારો થયો જેના કારણે સક્રિય કેસ ઘટીને હવે માત્ર 2,07,653 થઈ ગયા છે. વળી, દેશના અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનના કુલ 96,43,79,212 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે જેમાંથી 50,63,845 ડોઝ છેલ્લા 24 કલાકમાં લગાવવામાં આવ્યા છે.
દેશના આ પાંચ રાજ્યોમાં કોરોના કેસ સૌથી વધુ
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના સૌથી વધુ કેસ હાલમાં દેશના પાંચ રાજ્યોમાં જ છે. આમાં પહેલા નંબરે કેરળ છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7823 નવા કેસ મળ્યા છે. ત્યારબાદ આ લિસ્ટમાં મહારાષ્ટ્ર(2069 કેસ), તમિલનાડુ(1289 કેસ), મિઝોરમ(1224 કેસ) અને પશ્ચિમ બંગાળ(768 કેસ) ના નામ શામેલ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં મળેલા કોરોના વાયરસના કુલ કેસોમાંથી 83.26 ટકા કેસ આ પાંચ રાજ્યોમાંથી નોંધવામાં આવ્યા છે જ્યારે 49.44 ટકા કેસ એકલા કેરળમાંથી છે.