સતત બીજા દિવસે ઘટ્યા કોરોના કેસઃ 24 કલાકમાં મળ્યા 15981 કેસ, 17861 દર્દી રિકવર
કોરોના વાયરસના કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ આંકડા.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15981 નવા કેસ મળ્યા છે જ્યારે 17861 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના કારણે છેલ્લા એક દિવસમાં 166 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નવા આંકડા બાદ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,40,53,573 અને મૃતકોની સંખ્યા 4,51,980 થઈ ગઈ છે.
આ ઉપરાંત કોરોના વાયરસથી અત્યાર સુધી 3,33,99,961 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસ ઘટી ગયા છે અને હાલમાં આ આંકડો 2,01,632 સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસ મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 97,23,77,045 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આમાંથી 8,36,118 ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યો છે.
આ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ
આરોગ્ય મંત્રાલયે પોતાના આંકડામાં જણાવ્યુ કે દેશભરમાં પાંચ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના દૈનિક કેસ સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકનો રિપોર્ટ જોઈએ તો કેરળમાં કોરોના વાયરસના 8867 દર્દી, મહારાષ્ટ્રમાં 2149 દર્દી, તમિલનાડુમાં 1245 દર્દી, મિઝોરમમાં 932 દર્દી અને આંધ્ર પ્રદેશમાં 586 દર્દી મળ્યા છે. છેલ્લા એક દિવસમાં મળેલ કોરોના વાયરસના કુલ કેસોમાંથી 86.22 ટકા કેસ આ પાંચ રાજ્યોના છે. જ્યારે 55.48 ટકા કેસ એકલા કેરળમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસથી થયેલ 166 મોતમાંથી 67 મોત કેરળમાં અને 29 મોત મહારાષ્ટ્રમાં નોંધવામાં આવી છે.