ફરીથી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં સામે આવ્યા 43733 નવા કેસ, 930 લોકોના મોત
કોરોના વાયરસના કેસોમાં મંગળવારે એક મોટા ઘટાડા બાદ બુધવારે સંક્રમણના કેસ એક વાર ફરીથી વધી ગયા છે.
નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં મંગળવારે એક મોટા ઘટાડા બાદ બુધવારે સંક્રમણના કેસ એક વાર ફરીથી વધી ગયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 43,733 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સંક્રમણના કારણે 930 લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક દિવસમાં કોરોના વાયરસના 47,240 દર્દી રિકવર પણ થયા છે. આ નવા આંકડા સાથે કોરોના વાયરસના કુલ કેસ 3,06,63,665 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,97,99,534 થઈ ગઈ છે.
Recommended Video
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 4,04,211 લોકોના જીવ ગયા છે. જો કે રાહતની એક મોટી વાત એ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને દેશમાં હાલમાં સક્રિય કેસ 4,59,920 જ બચ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના દર્દીઓનો રિકવરી રેટ હાલમાં 97.18 ટકા છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી અલગ-અલગ રાજ્યોમાં વેક્સીનનો કુલ 13,23,548 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
હિલ સ્ટેશનોની ભીડ માટે આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા
આ પહેલા મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યુ કે ગરમીની સિઝનમાં હિલ સ્ટેશનો પર એકઠી થઈ રહેલી ભીડ એક ગંભીર સંકટ બની શકે છે. વાસ્તવમાં હાલમાં ઉત્તરાખંડના મસૂરી અને હિમાચલ પ્રદેશના શિમલા સહિત અન્ય હિલ સ્ટેશનો પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી છે. આરોગ્ય મંત્રાલયે આના પર ચિંતા વ્યક્ત કરીને જણાવ્યુ કે લોકોએ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ જોઈએ અને ભીડવાળી જગ્યાએ માસ્ક વિના ન જવુ જોઈએ.