કેજરીવાલને સીએમ પદેથી હટાવવા માંગ કરનારાને કોર્ટે ઉલ્ટો તમાચો માર્યો, જાણો શું કહ્યું?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર કેસમાં જેલમાં છે ત્યારે તેમને પદ પરથી હટાવવાની માંગ કરનારને કોર્ટે ઉલ્ટો તમાચો માર્યો છે.
દિલ્હી હાઈકોર્ટે સોમવારે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવી. કોર્ટે કહ્યું કે, આ અરજી માત્ર પ્રચાર માટે દાખલ કરવામાં આવી હતી.

સિંગલ જજે એક્ટિંગ ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ આ અરજીને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો અને એમ પણ કહ્યું કે અરજદાર પર ભારે દંડ લાદવો જોઈએ. જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું કે, આવા કેસને ચીફ જસ્ટિસ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે.
અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી.
સંદીપ કુમારે દાવો કર્યો હતો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાતા તરીકે તેઓ અંગત રીતે એ વાતથી નારાજ છે કે તેમના કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી એવા વ્યક્તિ છે જે પદ સંભાળવા માટે અસમર્થ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીએમ કેજરીવાલની અનુપલબ્ધતા બંધારણીય પદ્ધતિને જટિલ બનાવે છે અને બંધારણના આદેશ મુજબ તેઓ જેલમાંથી ક્યારેય મુખ્યમંત્રી તરીકે કામ કરી શકે નહીં.
આ પછી જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી દાખલ કરવા બદલ અરજદાર સંદીપ કુમારની ટીકા કરી અને કહ્યું કે આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે. કોર્ટે તેના પર ટિપ્પણી કરી કે તેના પર ભારે દંડ થવો જોઈએ.
જણાવી દઈએ કે, કેજરીવાલને પદ પરથી હટાવવાની આ ત્રીજી અરજી હતી. અગાઉ બેન્ચે સમાન પીઆઈએલને ફગાવી દીધી હતી, કહ્યું હતું કે અરજદાર ધરપકડ કરાયેલા મુખ્ય પ્રધાનને હોદ્દો સંભાળતા અટકાવે તેવા કોઈ કાનૂની અવરોધ બતાવવામાં નિષ્ફળ ગયા છે.
બેન્ચે કહ્યું કે આ મામલે ન્યાયિક હસ્તક્ષેપનો કોઈ અવકાશ નથી અને તે રાજ્યના અન્ય અંગો માટે છે કે તેઓ આ મુદ્દા પર ધ્યાન આપે.












Click it and Unblock the Notifications
