Covid 19 Updates : જાણો રાજ્ય અને દેશમાં શું છે કોરોનાની પરિસ્થિતિ
આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,271 નવા કેસ નોંધાયા છે અને 285 લોકોના મોત થયા છે.
Covid 19 Updates : આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 11,271 નવા કેસ નોંધાયા છે અને 285 લોકોના મોત થયા છે, જેમાં કેરળ રાજ્યમાં કોરોના વાયરસના 6,468 કેસ અને 23 લોકોના મોત થયા છે.
આ સાથે છેલ્લા 24 કલાકમાં 11,376 લોકો હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં દેશમાં 1,35,918 એક્ટિવ કેસ છે, જે 17 મહિનામાં સૌથી ઓછા છે.
હાલમાં દેશમાં કુલ કેસની સંખ્યા વધીને 3,44,37,307 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 4,63,530 પર પહોંચી ગયો છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,43,840 લોકોને રસી આપવામાં આવી છે, જે બાદ રસીકરણની સંખ્યા 1,12,01,03,225 પર પહોંચી ગઈ છે. હાલ દેશમાં રિકવરિ રેટ 98.26 ટકા છે.
જ્યારે મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 387 નવા કેસ નોંધાયા છે, જે બાદ કોરોનાના કુલ 1,28,604 કેસ નોંધાયા છે. આ સાથે મિઝોરમમાં એક્ટિવ કેસ 5,651 છે, જ્યારે કોરોનાને કારણે 459 લોકોના મોત થયા છે. મુંબઈમાં શનિવારના રોજ કોરોના વાયરસના 247 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 331 સ્વસ્થ થયા હતા અને 2 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા.
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, તે ચોક્કસપણે રાહતની વાત છે, પરંતુ હજૂ પણ દેશમાંથી કોવિડનો અંત આવ્યો નથી, તેથી દરેક વ્યક્તિ માટે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, થોડી બેદરકારી પણ ભારે પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં પ્રદૂષણે આતંક ફેલાવ્યો છે. વધતું પ્રદૂષણ અને શિયાળાની ઋતુ કોરોનાના કેસમાં વધારો કરી શકે છે, તેથી દરેકે હજૂ પણ સતર્ક રહેવાની જરૂર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન પણ અગાઉ કહી ચૂક્યા છે કે, પરિસ્થિતિ થોડી સ્થિર થઈ છે, પરંતુ હજૂ પણ દરેકને ઘણું ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર માઠા પરિણામો ભોગવવા પડી શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 નવા કોવિડ 19 કેસ નોંધાયા છે, આરોગ્ય વિભાગે શનિવારના રોજ જણાવ્યું હતું કે, શુક્રવારે નોંધાયેલા 21 કેસ કરતા શનિવારના આંકમાં વધારો થયો છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8,35,188 છે.
શનિવારના રોજ કોવિડ 19ને કારણે કોઈ નવું મૃત્યુ નોંધાયું ન હતું અને મૃત્યુની સંખ્યા 10,090 છે. આ 37 નવા કેસમાંથી અમદાવાદમાં 10 કેસ, સુરતમાં આઠ અને વડોદરામાં છ કેસ નોંધાયા છે.
એક્ટિવ કેસની સંખ્યા પર નજર કરીએ તો, અમદાવાદ, સુરત અને વડોદરામાં અનુક્રમે 59, 19 અને 47 છે. આ સાથે સરખામણીની રીતે વધુ એક્ટિવ કેસ ધરાવતો અન્ય જિલ્લો વલસાડ છે, જ્યાં શનિવારના રોજ 4 નવા કેસ નોંધાયા હતા, હાલ વલસાડમાં 31 સક્રિય કેસ છે. શનિવારના રોજ નોંધાયેલા અન્ય નવા કેસ નવસારીના 4 કેસ છે, તો બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ અને તાપીમાંથી એક-એક કેસ નોધાયો છે.