Covid 19 Updates: છેલ્લા 24 કલાકમાં 39,742 કેસ અને 535 મોત નોંધાયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 39,742 નવા કેસ નોંધાયા છે, તેમજ 535 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસ સાથે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,133,71,901 થઇ છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4.21 લાખને પાર પહોંચ્યો છે.
નવી દિલ્હી, 25 જુલાઈ : દેશમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે, પરંતુ તેનો પ્રકોપ ઓછો થયો નથી. રવિવારના રોજ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 39,742 નવા કેસ નોંધાયા છે, તેમજ 535 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસ સાથે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,133,71,901 થઇ છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4.21 લાખને પાર પહોંચ્યો છે.
દૈનિક પોઝિટિવિટી દર 2.31 ટકા
છેલ્લા 24 કલાક દરમિયાન 39,972 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,05,43,138 થઇ છે. દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 4,08,212 છે. છેલ્લા 24 કલાકમાં 51,18,210 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે કુલ રસીકરણનો આંકડો 43,31,50,864 થયો છે. 24 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં 17,18,756 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશનો રિકવરી રેટ હવે 97.36 ટકા છે, જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 2.31 ટકા છે.
AIIMSના વડાએ આપી ચેતવણી
હાલ ભલે દેશમાં કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ હજૂ પણ લોકોને જાગૃત રહેવાની ખૂબ જ જરૂર છે. AIIMSના વડાએ શનિવારના રોજ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર માથે છે. જે આવતા મહિનમાં સમગ્ર દેશમાં ત્રાટકશે. જે કારણે થોડી બેદરકારી પણ ફરીથી ભયાનક પરિસ્થિતિનું સર્જન કરી શકે છે, તેથી દરેકને કાળજી રાખવાની આવશ્યકતા છે.
કોરોનાના કેસમાં વધારો થવાનું કારણ રસીકરણની ધીમી કામગીરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે, વિશ્વવ્યાપી રસીકરણની ધીમી ગતિ અને ડેલ્ટા સંસ્કરણના ફેલાવાને કારણે મોટાભાગના દેશોમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થવાનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ અને રસીકરણની ધીમી કામગીરી છે. તમામને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, નહીં તો પરિસ્થિતિ ભયાનક બની શકે છે. દરેકના મનમાં એક વાત ગાંઠ વાળેલી હોવી જોઇએ કે, કોરોના વાયરસ હજૂ ગયો નથી, જેથી સૌને સજાગ રહેવાની જરૂર છે.