સલિલ અંકોલાની પૂર્વ પત્ની પરિણીતિએ કરી આત્મહત્યા
મુંબઇ, 23 ડિસેમ્બર: પૂર્વ ક્રિકેટર અને એક્ટર સલિલ અંકોલાની પૂર્વ પત્ની પરિણીતિ અંકોલાએ રવિવારે બપોરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પોતાના પિયર ગયેલી પરિણીતિએ જે સમયે આત્મહત્યા કરી તે સમયે ઘરના બાકીના સભ્યો એક લગ્નમાં હાજરી આપવા ગયા હતા.
પૂણેની સલિસબરી પાર્કની ગીતા લોકોનીમાં પરિણીતિનું પિયર છે અને ત્યાં જ ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે પરિવારજનોને રાતે આઠ વાગે પરિણીતિ પોતાના રૂમમાં પંખાથી લટકેલી જોવા મળી હતી. પોલીસે તેમના રૂમમાંથી સુસાઇડ નોટ પણ પ્રાપ્ત કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે પરિણીતિએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે 'હું મારી જીંદગીથી કંટાળી ગઇ છું, મારા મોત માટે કોઇને જવાબદાર ન ગણવામાં આવે.
પોલીસના જણાવ્યા અનુસાર સલિલ અંકોલા અને પરિણીતિ 2011માં એક બીજાથી અલગ થયા છે અને ત્યારબાદ પરિણીતિ પોતાના પિયર જતી રહી હતી. ત્યારથી તે પોતાના માતા-પિતાની સાથે રહેતી હતી. સ્વરગેટ પોલીસ સ્ટેશના ઇન્સ્પેક્ટર દીપક નિકમે એક અંગ્રેજી સમાચારપત્રને જણાવ્યું હતું કે 'સાંજે જ્યારે તેમના પિતા લગ્નમાં હાજરી આપી ઘરે પરત ફર્યા તો પોતાની પુત્રીને ફાંસી પર લટકેલી જોઇને હેરાન થઇ ગયા. ત્યારબાદ તેમને પોલીસને જાણ કરી હતી.
પોલીસ ઇન્સપેક્ટર નિકમે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પ્રાપ્ત કરી લીધી છે. જેમાં લખ્યું છે કે તેમના આ પગલાં માટે કોઇને જવાબદાર ગણવામાં ન આવે. અમે બૉડીને સસૂન હોસ્પિટલમાં અટૉપ્સી માટે મોકલી દિધી છે અને સલિલ અંકોલાનો પણ સંપર્ક સાધ્યો છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.