હનુમાન જયંતિ પર બંગાળ સરકાર એલર્ટ, ત્રણ શહેરોમાં CRPF તૈનાત કરાઈ
રામનવમી પર જોવા મળેલી હિંસા બાદ પશ્ચિમ બંગાળ સરકાર એલર્ટ જોવા મળી રહી છે. હાવડામાં હિંસા થયા બાદ હવે મમતા સરકારે હનુમાન જયંતિને લઈને આગોતરૂ આયોજન કર્યુ છે અને CRPF તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, હનુમાન જયંતિના દિવસે કોલકાતા, ચંદનનગર અને બેરકપુરમાં CRPF જવાનોને તૈનાત કરાશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટ પાસે હનુમાન જયંતિ પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કેન્દ્ર સરકારને ફોર્સ આપવા માટે નિર્દેશ માંગ્યો હતો. કોર્ટનો આદેશ રામ નવમીની ઉજવણી દરમિયાન અને પછી બંગાળના કેટલાક જિલ્લાઓમાં ફાટી નીકળેલી અથડામણને લઈને આવ્યો હતો.
એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા સેના ઉતારવામાં આવી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને હનુમાન જયંતિને શાંતિપૂર્ણ રીતે ઉજવવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, આવતીકાલે હનુમાન જયંતિ છે, દરેકને શાંતિપૂર્વક ઉજવણી કરવા અપીલ છે. ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે, તહેવારો બધા માટે છે.












Click it and Unblock the Notifications
